એવોર્ડ સેરેમનીમાં પીસીબીના અધિકારીઓ ગાયબ રહેવા મુદ્દે આઈસીસીએ કરી સ્પષ્ટતા
દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પછી પુરસ્કાર વિતરણ સમારંભ વખતે વિવાદ સર્જાયો હતો. આ સમારંભના મંચ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના કોઈ પણ અધિકારી ઉપસ્થિત રહ્યા નહોતા હવે આ મુદ્દે આઈસીસીએ સ્પષ્ટતા કરી છે.
ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ત્રીજી વખત આ ટૂર્નામેન્ટ જીત્યું છે. સૌથી ભારતીય ટીમ 2002માં શ્રીલંકાને હરાવ્યું હતું. ત્યારબાદ 2013માં એમએસ ધોનીના કેપ્ટનપદ હેઠળ ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી હવે રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમે નવો ઈતિહાસ રચ્યો છે.
જોકે, સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ભારતની જીત પછી પાકિસ્તાનના યજમાન પદ હેઠળ રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલ સમારંભમાં પાકિસ્તાનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નહોતા, જેના અંગે હવે આઈસીસીએ યજમાન દેશ પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવી હતી. આઈસીસીના પ્રવક્તાએ કહ્યું હતું કે પીસીબીના ચીફ મોહસિન નકવી ગેરહાજર હતા અને તેઓ દુબઈ આવ્યા જ નહોતા. અધિકારીઓને પ્રેઝન્ટેશન સેરેમની માટે બોલાવી શકાયા હોત. પીસીબીના કોઈ પદાધિકારીઓ પણ હાજર નહોતા તેઓ વાસ્તવમાં યજમાન હતા, ત્યાં તેમની હાજરી જરુરી હતી.
પૂર્વ પાકિસ્તાન ક્રિકેટર શોએબ અખ્તરે પોતાના એક્સ પર લખ્યું હતું કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, પરંતુ પીસીબીના કોઈ અધિકારી ફાઈનલ પછી હાજર નહોતા. પાકિસ્તાન યજમાન હતું. આશ્ચર્ય એ વાતનું છે કે પીસીબીના કોઈ અધિકારી શા માટે હાજર નહોતા. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર પીસીબીના પ્રમુખ મોહસિન નકવી દુબઈ જઈ શક્યા નહોતા, ગૃહ મંત્રીની મંજૂરી જરુરી હતી. આઈસીસી પ્રમુખ જય શાહ, બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને સચિવ દેવજીત સૈકિયાએ એવોર્ડ, ટ્રોફી અને જેકેટ આપ્યા હતા. દરમિયાન પીસીબીના અધિકારીઓને નહીં બોલાવવા માટે પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
પીસીબીના સૂત્રોએ કહ્યું હતું કે બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહમદ દુબઈ ગયા હતા, પરંતુ તેમને આમંત્રણ આપ્યું નહોતું. જોકે, આઈસીસી પ્રવક્તાએ કહ્યું હતું કે આ દાવો ખોટો છે, કારણ કે મંચ પર પીસીબીના કોઈ અધિકારી ઉપસ્થિત નહોતા. સુમેર અહેમદ આ ટૂર્નામેન્ટના ડાયરેક્ટર પણ હતા.