…તો સલમાન ખાન ઈન્દોરમાં ખેતી કરતો હોત!
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ આ તમે શું કહી રહ્યા છો. બોલીવૂડમાં સલમાન ખાનના નામના સિક્કા પડે છે, તેનો ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ દબદબો છે તો એવું તે શું કારણ છે કે સલમાન એક્ટિંગને બદલે ખેતી કરતો હોત એવું અમે કહી રહ્યા છીએ. પણ બોસ આવું અમે નહીં ખુદ સલમાન ખાને કહ્યું છે.
આવો તમને જણાવીએ આ પાછળની ઈનસાઈડ સ્ટોરી. વાત જાણે એમ છે કે સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ સિકંદરના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે એ વાત તો આપણે જાણીએ છીએ. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ સલમાન ખાને ખુદ આ વાત કહી હતી. સલમાન મીડિયા સાથે વાત કરી રહ્યો હતો એ સમયે કોઈએ તેને નેપોટિઝમને લઈને સવાલ કર્યો હતો. જેના જવાબમાં સલમાને કહ્યું હતું કે નેપોટિઝમ મને ગમે છે.
સલમાને આ સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે આ દુનિયામાં કોઈ પણ સેલ્ફ મેડ નથી અને મારો આ વાત પર વિશ્વાસ પણ નથી. જો મારા પિતા સલીમ ખાને ના વિચાર્યું હોત કે તેમણે મુંબઈ આવવું છે અને મુંબઈ આવીને ફિલ્મી લાઈનમાં પોતાનું નામ કરવું છે તો કદાચ બન્યું હોત કે હું પણ ઈન્દૌરમાં જ ખેતી કરતો હોત, કારણ કે મારા પિતા ત્યાં ખેતી કરતાં હતા.
સલીમ ખાન મુંબઈ આવ્યા અને તેમણે અહીં ફિલ્મી લાઈનમાં પોતાનું નામ બનાવ્યું ત્યારે મારી પાસે બે ઓપ્શન હતા કાં તો હું એમના નક્શે કદમ ચાલીને ફિલ્મો કરું કે પાછો ઈન્દૌર જતો રહું. પણ મેં અહીં રહીને જ ફિલ્મોમાં પ્રવેશવાનું નક્કી કર્યું. આ માટે તમે લોકો એક ખૂબ જ સારો શબ્દ વાપરો છો નેપોટિઝમ. નેપોટિઝમ મને ગમે છે, એવું સલમાને વધુમાં જણાવ્યું.
સલમાને ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે રવિના ટંડનની દીકરી રાશા થડાણી પણ ફિલ્મોમાં આવી રહી છે એ જ રીતે જો કંગના રનૌતની પણ દીકરી કે દીકરો થશે તો તેઓ પણ કંગનાની જેમ બોલીવૂડ કે પોલિટિક્સ કંઈ પણ જોઈન કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સલમાન ખાન તેની ફિલ્મ સિકંદરને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છે અને તે જોરશોરથી ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પણ જોવા મળશે. ફિલ્મ સિકંદર ઈદના મોકા પર રીલિઝ થઈ રહી છે અને દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.