June 30, 2025
ટોપ ન્યુઝહોમ

Sunday Special: પાર્ટીમાં તૂટ પડ્યા પછી ‘જનતા પાર્ટી’માંથી ‘ભારતીય જનતા પાર્ટી’ કઈ રીતે બની?

Spread the love

છઠ્ઠી એપ્રિલના આજે ભાજપનો સ્થાપના દિવસ, પાર્ટીની 45 વર્ષની સફર કેવી રહી?

આજે ભાજપનો સ્થાપના દિવસ છે. છઠ્ઠી એપ્રિલ, 1980ના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સ્થાપના દિવસ મનાવી રહી છે. કેન્દ્રમાં એનડીએની આગેવાની હેઠળ ભાજપની સ્થાપના કઈ રીતે બની એનો રસપ્રદ ઈતિહાસ છે. ભાજપની 45 વર્ષની સફર પછી લોકસભામાં ભાજપના નેતૃત્વમાં સરકાર ગઠન કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી પાર્ટીમાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવાનો મુદ્દો સંસદમાં પણ ગાજી ચૂક્યો છે. પાર્ટીમાં રાજનાથ સિંહ, જેપી નડ્ડા, વગેરે પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારે નવા પ્રમુખની વરણી કરવાનું મુશ્કેલ કામ છે. આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહ પણ કહી ચૂક્યા છે કે પાર્ટીના પ્રમુખની વરણી કરવાની કામગીરી ચાલુ છે, પણ પસંદગી કરવામાં મહિનાઓ લાગી ગયા છે એ ચર્ચાનો વિષય છે, ત્યારે જાણીએ પાર્ટીના ઈતિહાસને.

ઈમર્જન્સી વખતે ચાર મોટી પાર્ટી બની
શરુઆતની વાત કરીએ તો પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમર્જન્સી લગાવી, જે 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી લાગુ પાડી હતી. ઈમરજન્સી પૂરી થયા પછી વિરોધપક્ષોએ કોંગ્રેસની સામે એક થઈને લડવાનો નિર્ણય લીધો અને એ વખતે દેશના રાજકારણમાં ચારેક મોટા રાષ્ટ્રીય પક્ષ હતા. તેમાંય વળી અમુક પાર્ટી કોંગ્રેસમાં વિલિન થઈ હતી. જોકે, રાષ્ટ્રીય પક્ષમાં ચાર કોંગ્રેસ, ભારતીય જનસંઘ (બીજેએસ), સોશિયલિસ્ટ પાર્ટી અને ભારતીય લોકદળ (બીએલડી)એ સાથે મળીને જનતા પાર્ટી બનાવી હતી, જ્યારે કોંગ્રેસ ફોર ડેમોક્રેસી જેવા સંગઠન પાર્ટીમાં સામેલ થયા અને એને જનતા પાર્ટીનું નામ આપવામાં આવ્યું હતું.

1977માં જનતા પાર્ટીની સરકાર લાંબો સમય ટકી નહીં
અકસ્માત કહો કે કમનસીબે પણ 1977માં લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીની સરકાર બની, પરંતુ પહેલા મોરારજી દેસાઈ પછી ચરણસિંહના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની પણ કાર્યકાળ પૂરો કરી શકી નહોતી. સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે જનતા પાર્ટી અને એની સરકાર સામે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. સૌથી મોટો પડકાર તો એ હતો કે જનતા પાર્ટીમાં સામેલ ભારતીય જનસંઘના નેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમોમાં ભાગે લેતા હતા, જ્યારે જનતા પાર્ટીના અનેક મોટા નેતા એ માનતા નહોતા. જનતા પાર્ટીના ગઠન પછી દિગ્ગજ સમાજવાદી નેતા મધુ લિમયેએ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીને લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ ભારતીય જનસંઘ અને એના નેતાઓ માટે એ મુશ્કેલ હતું, કારણ કે તેઓ આરએસએસને અલગ કરી શક્તા નહોતા, પરંતુ કેમ એનો રસપ્રદ ઈતિહાસ છે.

ભારતીય જનસંઘ કઈ રીતે બન્યો
30 જાન્યુઆરી, 1948ના મહાત્મા ગાંધીની હત્યા પછી આરએસએસના મનમાં એક મંથન ચાલી રહ્યું હતું કે રાજકારણમાં ભાગ લેવો જોઈએ યા સંગઠન બનાવવાનું વિચારતું હતું. શ્યામાપ્રસાદ મુખરજી અને આરએસએસના અમુક પ્રચારકોએ ભારતીય જનસંઘનું ગઠન કર્યું, કારણ કે આરએસએસ ખુદ રાજકારણમાં ભાગ લેવા ઈચ્છતા નહોતા. એ વખતના સક્રિય નેતા પ્રોફેસર રાજેન્દ્ર સિંહ, બાલાસાહેબ દેવરસ, નાનાજી દેશમુખ, દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી વગેરે ઈચ્છતા નહોતા કે આરએસએસ સક્રિયપણે રાજકારણમાં આવે, પરંતુ સંઘના તત્કાલીન સર સંઘચાલક એમએસ ગોલવલકરે એનો ઈનકાર કર્યો હતો. ઓક્ટોબર, 1951માં જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે આરએસએસના અનેક પ્રચારકો સામેલ થયા હતા.

1980માં જનતા પાર્ટીને મળી હતી હાર
વર્ષ 1980માં લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીની હાર થઈ અને ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવી. જનતા પાર્ટીની હાલ પછી જગજીવન રામ અને અમુક અન્ય નેતાઓએ ફરી જનતા પાર્ટીના નેતાઓએ આરએસએસના કાર્યક્રમોમાં સામેલ થવાનો મુદ્દો ઉઠાવ્યો અને પછી 19 માર્ચ 1980ના જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં તો કોઈ પણ પદાધિકારી અથવા નેતા આરએસએસના કાર્યક્રમમાં ભાગ નહીં લે એનો બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ વખતે પાર્ટીના નામ અને ચૂંટણીના ચિહ્ન પર કબજા મુદ્દે વિવાદ થયો. ચૌધરી ચરણ સિંહના જૂથે ચૂંટણી પંચમાં અસલી જનતા પાર્ટી હોવાનો દાવો કર્યો. વિવાદ પછી ચૂંટણી પંચની માન્યતા મુજબ ચરણ સિંહે જનતા પાર્ટી (સેક્યુલર)નું નામ બદલીને લોક દળ કર્યું.

છઠ્ઠી એપ્રિલ, 1980ના વાજપેયી બન્યા પ્રમુખ
જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ વધુ વકરી અને છઠ્ઠી એપ્રિલ, 1980ના જનતા પાર્ટીમાં સામેલ ભારતીય જનસંઘ કેમ્પે અટલ બિહારી વાજપેયીને દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના પ્રમુખ બનાવ્યા. વાજપેયી જૂથે દાવો કર્યો કે તેમની અસલી જનતા પાર્ટી છે અને ચૂંટણી પંચમાં અરજી કરી અને એ વખત ચંદ્રશેખરની આગેવાની હેઠળનું જૂથ પણ ચૂંટણી પંચ પાસે પહોંચ્યું હતું. 24 એપ્રિલના ચૂંટણી પંચે તમામ દાવા અને પ્રતિદાવાઓ પર વિચાર કર્યા પછી જનતા પાર્ટીના ચૂંટણી ચિહ્નને ફ્રીજ કર્યું અને ચૂંટણી પંચે વાજપેયીની આગેવાની હેઠળની પાર્ટી આગળ ભારતીય લગાવ્યું અને માન્યતા આપી, જ્યારે ચિહ્ન તરીકે પાર્ટીને કમળ ફાળવ્યું હતું. એની વિરુદ્ધમાં ચંદ્રશેખરે સુપ્રીમ કોર્ટમાં ગયા અને વિવાદ ચાલ્યો હતો, પણ ભારતીય જનતા પાર્ટી દેન તો આખરે ચૂંટણી પંચની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!