લોનધારકો માટે રાહતના સમાચારઃ 2 મહિનામાં બીજી વખત સસ્તી થઈ હોમ લોન, જાણો કેટલો ફાયદો થશે?
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે એની સાથે રેપો રેટ ઘટીને છ ટકાની સપાટીએ રહ્યા છે. આ ઘટાડાને કારણે આગામી દિવસોમાં હોમ-કાર લોન ધારકોને ઈએમઆઈનું ભારણ ઘટશે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ચાલુ નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિક મોનિટરી પોલિસીની જાહેરાત કરતા લોનધારકોને મોટી રાહત આપવાની જાહેરાત કરી હતી. ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળ મોનિટરી પોલિસી સમિતિ (એમપીસી)ની સોમવારથી ત્રણ દિવસની બેઠક શરુ થઈ હતી. આ અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
આરબીઆઈએ મે, 2020 પછી અને અઢી વર્ષ પછી ઘટાડો કર્યો છે. આ ઘટાડાને કારણે ઈએમઆઈમાં કેટલો ઘટાડો થશે એ પણ જાણીએ. દા.ત. ગ્રાહકે જો 50 લાખની લોન 20 વર્ષ માટે લીધી હોય તો તેના વર્તમાન વ્યાજદર 8.25 ટકા હોય તો નવા વ્યાજદર આઠ ટકા લાગુ પડશે, જ્યારે 42,603 રુપિયાના ઈએમઆઈની સામે નવા ઈએમઆઈ 41,822 રુપિયા ભરવા પડશે. એટલે હોમલોન ધારકોને આશરે 781 રુપિયાનો ફાયદો થઈ શકે છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનિટરી પોલિસી રજૂ કરતા કહ્યું હતું કે મોંઘવારીમાં ઘટાડો થયો એ સારી વાત છે. એમપીસીના તમામ સભ્યોએ સ્વીકાર્યું છે કે મોંઘવારીનો દર લક્ષિત આંકથી નીચે છે. ગવર્નરે કહ્યું હતું કે આગામી દિવસોના સંજોગો નક્કી કરશે કે રેટમાં વધુ ઘટાડો કરવો છે નહીં. આરબીઆઈએ પોલિસીને ન્યુટ્રલમાંથી બદલીને એકોમોડિટિવ કર્યા છે.
આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે હાલના તબક્કે વૈશ્વિક પરિબળો ઠીક નથી અને આરબીઆઈ એના પર નજર રાખી રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર વધુ ટેરિફને કારણે નિકાસકારોને નુકસાન પહોંચી શકે છે. વૈશ્વિક ઉથલપાથલને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે આગળ વધી રહી છે. મેન્યુફેકચરિંગ સેક્ટરનું પ્રદર્શન સારું પ્રદર્શન કરી રહ્યું છે, જ્યારે બેંકોની પણ સ્થિતિ સારી છે. આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થયવ્યવસ્થાનો વૃદ્ધિદર 6.7 ટકાથી ઘટીને 6.5 ટકા કર્યો છે.