ધર્મેન્દ્ર નહીં સંજીવ કુમાર બનવાના હતા હેમા માલિનીના જીવનસાથી, પણ આ શરતે તૂટ્યા હતા લગ્ન…
બોલીવૂડની ‘ડ્રીમ ગર્લ’ અને લાખો દિલોની ધડકન હેમા માલિની અને ધર્મેન્દ્રની જોડી આજે ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક છે. પરંતુ, ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણકારી છે કે એક સમય એવો પણ હતો કે જ્યારે હેમા માલિનીના લગ્ન ધર્મેન્દ્ર કે જિતેન્દ્ર સાથે નહીં, પણ દિગ્ગજ અભિનેતા સંજીવ કુમાર સાથે થવાના હતા. બંનેની આ લવસ્ટોરી આખરે કેમ અધૂરી રહી અને બોલીવૂડને હીમેન-ડ્રીમ ગર્લની અનોખી જોડી મળી આ વિશે આપણે આ લેખમાં વિસ્તારથી વાત કરીશું.
હેમા માલિની આજે પણ પોતાની સુંદરતા અને અભિનયથી દર્શકોના દિલ પર રાજ કરે છે. જોકે, તેમના જીવનનો એક એવો વળાંક પણ હતો જ્યાં તેમની લવ સ્ટોરી અધૂરી રહી ગઈ હતી. આજે ભલે આપણે હી-મેન એટલે કે ધર્મેન્દ્રજી અને હેમા માલિનીની મેડ ફોર ઈચ અધર, પરફેક્ટ લાઈફ પાર્ટનર તરીકે જોતા હોઈએ પણ એક સમય એવો પણ હતો જ્યારે હેમા માલિનીના લગ્ન ધર્મેન્દ્ર નહીં પણ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા સંજીવ કુમાર સાથે થવાના હતા. ચાલો તમને આ વિશેની આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ…
કેવી રીતે શરૂ થઈ હતી આ લવ સ્ટોરી?
ફિલ્મ ‘સીતા અને ગીતા’ના શૂટિંગ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેના કારણે હેમા માલિની અને સંજીવ કુમાર એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા. શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા અને બોલીવૂડ ગલીઓમાં તેમના અફેરની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. હેમા માલિની અને સંજીવ કુમાર બંને એકબીજાને લઈને એટલા સીરિયસ હતા કે સંજીવ કુમાર પોતાના પરિવાર સાથે હેમા માલિનીના ઘરે તેમનો હાથ માંગવા પણ પહોંચી ગયા હતા.
હેમા માલિની અને સંજીવ કુમારના લગ્નની વાત પાકી થવાની જ હતી ત્યારે સંજીવ કુમારની માતાએ હેમા માલિની સામે એક આકરી શરત મૂકી દીધી. સંજીવ કુમારની માતા નહોતા ઈચ્છતા કે હેમા માલિની લગ્ન કર્યા પછી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખે. તેઓ ઈચ્છતા હતા કે હેમા એક એવી પત્ની બને જે ઘર સંભાળે, સાસુ-સસરાનું ધ્યાન રાખે અને પોતાના કરિયરનું બલિદાન આપે. બસ આ એક શરત અને સુંદર એવી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ.
હેમા માલિનીએ ખુદ આ બાબતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે સંજીવ કુમારને એક એવી ‘પરફેક્ટ લાઈફ પાર્ટનર’ જોઈતી હતી જે ત્યાગની મૂર્તિ હોય અને કદાચ હું ફ્રેમમાં ફીટ નહોતી થતી. મને મારા પોતાના કરિયર સાથે સમજૂતી કરવી પસંદ નહોતી, અને આ રીતે એક સુંદર લવ સ્ટોરીનો કરુણ અંત આવ્યો.
