વારસદારનો આંધળો મોહઃ 10 દીકરી પછી દીકરો જન્મ્યો, પરિવારમાં ખુશાલી…
ટેકનોલોજીના યુગમાં પણ દીકરાના મોહમાં 11 સંતાનો; સામાજિક માન્યતા અને સ્ત્રીના સ્વાસ્થ્ય સામે ઉઠતા સવાલો.
આઈટી અને એઆઈના જમાનામાં દુનિયા આગળ વધી રહી છે, પરંતુ હજુ દેશમાં જૂની માન્યતા અને દીકરામોહ યા વંશ-વારસના મોહને કારણે હજુ લાખો ઘર બરબાદ થઈ રહ્યા છે એના હજારો દાખલા બને છે, પરંતુ હરિયાણામાં ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજ્યના ફતેહાબાદ જિલ્લાના ગામમાં એક મહિલાએ 10 દીકરીને જન્મ આપ્યા પછી દીકરાને જન્મ આપ્યો હતો.
હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભુના બ્લોક સ્થિત ઢાણી ભોજરાજ ગામમાં આ બનાવ બન્યો છે. ગામના એક સાધારણ પરિવારમાં 19 વર્ષના ઈંતજાર પછી દીકરાનો જન્મ થયો છે. પરિવાર માટે જાણે ખુશીઓના દિવસ આવ્યા છે, કારણ કે 10-10 દીકરીના જન્મ પછી અગિયારમા સંતાન તરીકે દીકરાનો જન્મ થયો છે.
મોટી દીકરી 12 ધોરણમાં ભણે છે
ઢાણી ભોજરાજના સંજય અને પત્ની સુનીતાના લગ્ન થયા હતા. લગ્નના શરુઆતના વર્ષોથી પરિવારમાં દીકરાનો જન્મ થાય એની અપેક્ષા હતી, પરંતુ દરેક વખતે દીકરીનો જન્મ થતો હતો. પરિવાર જ નહીં, સમાજના લોકો પણ ટોણો મારતા હતા અને અનેક પ્રકારની વાતો કરતા હોવાનું સંજયે જણાવ્યું હતું. આ મુદ્દે સંજયે કહ્યું કે મારી મોટી દીકરી અઢાર વર્ષની છે અને બારમા ધોરણમાં ભણે છે, જ્યારે બાકી દીકરી પણ અભ્યાસ કરે છે.
દીકરીના ઉછેરમાં કોઈ કચાશ નહીં
આર્થિક રીતે સદ્ધર નહીં હોવા છતાં પરિવારમાં બાળકોના ઉછેરમાં કોઈ કચાશ રાખી નથી. ગામના લોકો પણ કહે છે કે સંજયનો પરિવાર હંમેશાં સાદગીથી રહે છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં દીકરીઓને આત્મસન્માન, સંસ્કાર અને પૂરતું શિક્ષણ આપશે. આ જ કારણથી પરિવારનું ગામમાં જ નહીં, પરંતુ દેશ આખામાં નામ થઈ ગયું છે.
સંજયએ ક્યાંય બાંધછોડ કરી નથી
સુનીતાએ અગિયારમા સંતાન તરીકે દીકરાને જન્મ આપ્યો એના કારણે પરિવારમાં ખુશાલીનો માહોલ છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે અગિયારમી ડિલિવરી પણ નોર્મલ થઈ છે. ડિલિવરી માટે સુનીતા ઘરથી પચાસ કિલોમીટર દૂર હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં ડિલિવરી પછી બંનેની તબિયત સારી છે. ઘરમાં દાદીની ઈચ્છા પૂરી થઈ છે, જ્યારે સંજયના પિતાનું નિધન થયું છે. પિતાના નિધન પછી પણ સંજય ક્યારેય કોઈ બાબતમાં બાંધછોડ કરી નથી.
સમાજમાં જડ માનસિકતા સુધરશે?
સંજય અને સુનીતા જેવા કપલની વાત નથી, પરંતુ સમાજ ક્યાં સુધી સુધરશે નહીં. વાસ્તવમાં સમાજે દરેક ઘર-પરિવારની જો એટલી પડી હોય તો તેમના આર્થિક-નાણાકીય રીતે સદ્ધર કરવાનું વિચારવું જોઈએ, પરંતુ એક આંધળી માન્યતા માટે પરિવારમાં પત્નીનું ક્યાં સુધી શોષણ કરવામાં આવશે, એવું સમાજશાસ્ત્રીએ જણાવ્યું હતું.
