હરિયાણા-કાશ્મીરની ચૂંટણીના પરિણામોની મહારાષ્ટ્ર પર અસર થશે કે નહીં, કોંગ્રેસના હારના કારણો કયા?
હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા. હરિયાાણામાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં ત્રીજી વખત સરકાર બનશે, જ્યારે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસની આગેવાનીમાં સરકાર બનશે. હરિયાણા અને કાશ્મીરમાં અપેક્ષા કરતા ભાજપનું પ્રદર્શન સારું રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને ઓવર કોન્ફિડન્સ ભારે પડ્યો છે. આ બંને રાજ્યના પરિણામોની મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પડી શકે એવી અટકળો કરવામાં આવી રહી છે ત્યારે જોઈએ હકીકતમાં શું થઈ શકે છે.
બબ્બે વખત સુકાન સંભાળનારી ભાજપની સરકાર માટે ખેડૂતોના આંદોલન, પહેલવાનોની લડાઈ સહિત અનેક પરિબળો ભારે પડવાના હોવાથી ફરી સરકાર બનાવવાનું મુશ્કેલ હતું. આમ છતાં તમામ ગણિતો ઊંધા પડ્યા અને 90 બેઠકમાંથી ભાજપના પક્ષમાં 48 બેઠક મળી. સરકાર માટેની બહુમતી સાથે 2019ની તુલનામાં વધુ સાત બેઠક મળી. જાટ સમુદાયના પ્રભુત્વવાળી 33 બેઠકમાંથી 17 બેઠક ભાજપને મળી છે, જ્યારે કોંગ્રેસને 14 બેઠક મળી છે. બંને રાજ્યના પરિણામોની અસર મહારાષ્ટ્રમાં ચોક્કસ પડી શકે છે. મહાયુતિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીથી લઈને નેતાઓ અને મતદારોની માનસિકતા પર અસર પડી શકે છે.
બીજી બાજુ કોંગ્રેસ મહારાષ્ટ્રમાં મોટો ભાઈ બનવાની ફિરાકમાં હતું જે ગણતરી ઊંધી પડી છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહત્ત્વની બેઠક પર કબજો મેળવ્યા પછી આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં પોતાના મુખ્ય પ્રધાન પદના ઉમેદવારથી લઈને સીટ વહેંચણી મુદ્દે હવે નરમ વલણ અપનાવી શકે છે. મહાયુતિના નેતાઓમાં દેવેન્દ્ર ફડણવીસ, શ્રીકાંત શિંદે સહિત અજિત પવારે પણ મહત્ત્વના નિવેદનો આપ્યા છે, જ્યારે આ પરિણામથી ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને એનસીપીમાં ઉત્સાહ પણ વધ્યો છે. હવે જોવાનું એ રહે કે રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.
કોંગ્રેસને ગળે આવેલો કોળિયો કેમ છિનવાયો
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળ બેવડી સીટ મેળવી. સત્તામાં આવી નહીં, પરંતુ ભાજપને હંફાવી દીધું હતું. આમ છતાં હરિયાણા-કાશ્મીરમાં કોંગ્રેસે નૂર ગુમાવ્યું. પાર્ટીમાં આંતરિક જૂથબાજી અને ઓવર કોન્ફિડન્સે હરાવ્યા. કોંગ્રેસે જાટનેતા ભુપેન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા, પરંતુ એના પાસા ઊંધા પડ્યા અને ફાયદો ભાજપને થયો હતો. શહેરી મતદારોમાં ભાજપનો પ્રભાવ વધ્યો હતો, જે ખાસ કરીને ગુરુગ્રામ, ફરિદાબાદ અને બલ્લભગઢ જેવા વિસ્તારોના પરિણામથી પરથી ફલિત થયું.
