ગુજરાતમાં હાથ બનાવટની વસ્તુનો ઝોક વધ્યો: 8,000થી વધુ કારીગરને થઈ રૂ. 20.89 કરોડની કમાણી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અનેક પરંપરાગત વારસાઓનું સંરક્ષણ સુનિશ્ચિત કરી રહી છે. આવો જ એક વારસો છે- ગુજરાતનો ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાનો પરંપરાગત વારસો, કે જેનો વેલો રાજ્ય સરકારના સકારાત્મક વલણને પગલે સતત વધી રહ્યો છે.
રાજ્યની હસ્તકલા અને હાથશાળની સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (જીએસએચએચડીસી) છેલ્લા 52 વર્ષથી ગુજરાતના આ પરંપરાગત વારસાના વેલાને સતત સિંચી રહ્યું છે. જીએસએચએચડીસીના ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ થકી રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. ‘ગરવી-ગુર્જરી’ હાથશાળ-હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરતા દૂરસુદૂર ગામોના હજારો કારીગરોના કલા-કસબ તથા પરિશ્રમને લોકો સુધી પહોંચાડે છે અને તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાના સતત પ્રયત્નો કરે છે.
ગરવી-ગુર્જરીના વિક્રમી વેચાણ પર નજર નાખીએ તો, વર્ષ 2023-24માં છેલ્લાં 50 વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ એટલે કે રૂ. 25 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ થયું હતું. તો આ વર્ષે એટલે કે 2024-25માં તો ગરવી ગુર્જરીએ ગત વર્ષનો રેકોર્ડ તોડીને અંદાજીત રૂ. 31.70 કરોડનું વેચાણ હાંસલ કર્યું છે.
નિગમનું મિશન કારીગરો માટે બન્યું વરદાન
ઉલ્લેખનીય છે કે, નિગમ સાથે રાજ્યના આશરે 8000 કરતા પણ વધારે કારીગરો જોડાયેલા છે. નિગમે આ કારીગરોના રૂ. 20.89 કરોડના ઉત્પાદનોની ખરીદી કરી હતી. આમ, નિગમનું વારસાના આ વેલાનું સિંચન કરવાનું મિશન કારીગરો માટે વરદાન બન્યું છે. નિગમે આ ઉત્પાદનોની ખરીદી કરી પોતાના રાજ્ય અને રાજ્યની બહાર આવેલ વેચાણ કેન્દ્રો થકી રૂ. 14.46 કરોડના ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. એટલું જ નહીં, નિગમે કારીગરોને ઓપન માર્કેટ મળી રહે, તે માટે રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સ્થળોએ મેળા-પ્રદર્શનોનું માસવાર અસરકારક આયોજન કરી રૂ. 17.24 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ લક્ષ્ય હાંસલ કર્યું છે.