ગુજરાત પક્ષીઓ માટે બન્યું ‘જન્નત’: રાજ્યમાં 18થી 20 લાખ નોંધાયા પક્ષી, કચ્છમાં સૌથી વધુ પ્રજાતિ
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેકવિધ જૈવ-પક્ષી વિવિધતા માટે જાણીતું છે. ઇકોસિસ્ટમ, પ્રાણી સૃષ્ટીને બચાવવા અને પર્યાવરણના જતન-સંરક્ષણ માટે સરકારના અનેક કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે. વન્ય જીવ સંરક્ષણ, સંવર્ધન અને સુરક્ષાને હંમેશાં પ્રાધાન્ય આપવાના પરિણામે અંદાજિત ૧૮થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઊભરી આવ્યું છે.
દ્વારકા, જામનગરમાં પક્ષીઓની નોંધાઈ વિવિધતા
વૈશ્વિક પક્ષીઓના આવાગમન માટે ગુજરાત પસંદગીનું રાજ્ય પ્રસ્થાપિત થયું છે ત્યારે ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે જયારે સરહદી કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪.૫૬ લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ ૨૨૧ પ્રજાતિઓની સાથે ૪ લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. આ સાથે મહેસાણા, બનાસકાંઠા તેમ જ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે.
અમદાવાદમાં 250થી વધુ વિવિધ પ્રજાતિઓ નોંધાઈ
રાજ્યમાં પક્ષી-પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનને વિશેષ પ્રાધાન્ય મળ્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે ૫૦ હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે. અમદાવાદ પણ રાજ્યના પક્ષી જીવનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જેમાં ૩.૬૫ લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે ૨૫૦થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે. સરહદી એવા નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે. ‘રામસર સાઈટ’ની વાત કરીએ તો કચ્છના છારી ઢંઢની કુલ ૨૨,૭૦૦ હેક્ટર જમીનમાં ૧૫૦થી વધુ પ્રજાતિઓના ૩૦,૦૦૦ થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસસ્થાન સાબિત થયું છે. આજ રીતે, પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ ૧૦૦થી વધુ પ્રજાતિઓના અંદાજે ૩૦,૦૦૦ પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે.
થોળમાં 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીનું આગમન
વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, પક્ષીઓના ‘હોટસ્પોટ’ એવા નળ સરોવર ખાતે વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ખીજડિયામાં પક્ષી અભ્યારણમાં ૧.૫૦ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. રાજ્યની ‘રામસર સાઇટ્સ’માં નળ સરોવર અને ખીજડિયા પક્ષી અભયારણ્ય મુખ્ય ભાગ ભજવે છે. પક્ષી ગણતરી દરમિયાન નળ સરોવર ખાતે ૨૨૮ વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું તથા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં ૨૦૦થી વધુ પ્રજાતિઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
દરિયાકિનારાના લોકોએ જૈવવિવિધતમાં કર્યો વધારો
ગુજરાત પ્રતિ વર્ષ શિયાળામાં, યાયાવર એવા ‘બાર-હેડેડ’ પક્ષીઓ ૭,૦૦૦ મીટરથી વધુની ઊંચાઈએ ‘હિમાલય’ પરથી પ્રવાસ શરૂ કરે છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે ગુજરાતની ભૂમિને તેમનું હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે. જામનગરની આબોહવા ‘માર્શ ફ્લેમિંગો’, ‘પેલિકન’ અને ‘ક્રેન્સ’ને આવકારે છે એવી જ રીતે, ગુજરાતના દરિયાકિનારે મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ બંને માટે ટકાઉ વાતાવરણ પૂરું પાડીને સમૃદ્ધ પક્ષી જૈવવિવિધતામાં વધારો પણ કરે છે. સ્થાનિક તથા યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા eBird પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે ગુજરાતમાં પક્ષી વિવિધતા સર્વેક્ષણની આંકડાકીય માહિતી પ્લેટફોર્મ પર નિયમિત અપલોડ કરવામાં આવે છે. આ સર્વેક્ષણમાં વિવિધ પ્રદેશો, જળાશયો અને રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પક્ષીઓના સંરક્ષણ માટે 300થી વધુ પ્રજાતિનું દસ્તાવેજીકરણ કર્યું
eBird પ્લેટફોર્મના અસરકારક ઉપયોગથી માહિતી સંગ્રહ અને વ્યવસ્થાપન કરી સર્વેક્ષણમાં ૩૯૮ eBird ચેકલિસ્ટમાંથી ડેટાનો ઉપયોગ કરીને ૩૦૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણમાં સ્થાનિક, યાયાવર, નિવાસી-સ્થળાંતર પક્ષીઓનો અભ્યાસ કરી ડેટા તૈયાર કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા, જામનગર, કચ્છ, અમદાવાદ, પોરબંદર, સુરત, દેવભૂમિ દ્વારકા જેવા વિવિધ જિલ્લાઓમાં ૧૩ નજીકના જોખમી, ૪ જોખમમાં મૂકાયેલા, ૭ સંવેદનશીલ અને ૧ ગંભીર રીતે જોખમી જાતિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.
ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધર્યું
ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તુરંત સારવાર આપી નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે વન વિભાગ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૫માં રાજ્યભરમાં અંદાજે કુલ ૧૭,૦૬૫ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં વર્ષ-૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૧૨ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી ૯૨ ટકા સાથે ૧.૩ લાખ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. આમ, ગુજરાતે સૌ પ્રથમવાર શરૂ કરેલું “કરૂણા અભિયાન”નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.