ગુજરાત સરકારે જનતાની સુવિધા માટે ૬૯ નગરપાલિકાનું કર્યું અપગ્રેડેશન, રુ. 2,882 કરોડ ખર્ચશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યની જનતાની સુવિધા માટે વિવિધ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે ૬૯ નગરપાલિકાનું અપગ્રેડેશન કર્યુ છે, જ્યારે તેના માટે 2,882 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વિકાસલક્ષી કામો ઝડપી કરવાના અભિગમ સાથે કરાયું અપગ્રેડેશન
ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉત્તરોત્તર વધતા જતા વિકાસને પરિણામે શહેરોમાં વસનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે ત્યારે નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને વિવિધ માળખકીય સુવિધાઓ પૂરી પાડવા અને જનસુવિધાઓમાં વધારો થાય તેમ જ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે આ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યુ છે.
ખંભાળિયા, લુણાવાડા, મોડાસા, વ્યારાને પણ અપગ્રેડ કરી
નગરપાલિકાઓના આ અપગ્રેડેશનને પરિણામે ૧ લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૧ નગરપાલિકાઓ, ૫૦ હજારથી ૧ લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૨ અને ૨૫ હજારથી ૫૦ હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૬ નગરપાલિકાઓનો ઉમેરો થયો છે. એટલું જ નહિ, જે નગરપાલિકાઓ જે-તે જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓ એવી ખંભાળિયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.
વડનગરને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવ્યું
આ ઉપરાંત, મુલાકાતીઓ-યાત્રાળુઓની વધુ અવરજવર ધરાવતા દ્વારકા, પાલિતાણા, ચોટિલા તથા ડાકોર જેવા ધાર્મિક-પ્રવાસન સ્થળોની નગરપાલિકાઓનો પણ અપગ્રેડેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વડનગરના સ્થાનને ધ્યાને લઇને તેને પણ “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.
અ વર્ગ માટે 28 કરોડ અને બ વર્ગની નગરપાલિકા માટે 22 કરોડ ખર્ચશે
નગરપાલિકાઓના આ અપગ્રેડેશનથી આંતરમાળખાકીય વિકાસ કામો, આઉટગ્રોથ વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અ-વર્ગની પ્રત્યેક નગરપાલિકાઓને અંદાજે કુલ રૂ.૨૮ કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને આશરે રૂ.૨૨ કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને રૂ.૧૫.૫ કરોડ અને ડ-વર્ગની નગરપાલિકાઓને રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ મળી હવે કુલ અંદાજે ૨૮૮૨ કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવવામાં આવશે.