સાસણ ગીરના રસ્તાઓની કાયાપલટ માટે ગુજરાત સરકારે ફાળવ્યા 43 કરોડ
ગાંધીનગરઃ એશિયામાં એશિયાઈ સાવજ માટે સૌથી જાણીતા એવા સાસણ ગીરના રસ્તાઓની કાયાપલટ કરવા માટે રાજ્ય સરકારે કરોડો રુપિયાના ભંડળની ફાળવણી કરી છે, જેનાથી વાઈલ્ડ લાઈફ અને સિંહપ્રેમીઓની સાથે સ્થાનિક લોકોની હાલાકીમાં ઘટાડો થશે. સરકારે 42 કિલોમીટરના રસ્તાની મજબૂતાઈ માટે 43 કરોડની ફાળવણી કરી છે.
સાસણ ગીર પહોંચવાનું બનશે સરળ
સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યટન-પ્રવાસનની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતા જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
સાસણ ગીરથી સોમનાથ જવાનું બનશે સુલભ
ગીર અભયારણ્યમાં તેમ જ દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે આવનારા પ્રવાસીઓ સાસણ ગીર જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, જૂનાગઢથી ગીર સોમનાથને જોડતો આ માર્ગ પ્રવાસીઓને બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને જવા માટેનો પણ મહત્વપૂર્ણ રસ્તો છે. મુખ્યમંત્રીએ વર્ષ દરમ્યાન સિંહદર્શન માટે સાસણ ગીર આવતા વિશ્વભરના લાખો પ્રવાસીઓ ભગવાન સોમનાથના દર્શને પણ આ માર્ગેથી સરળતાપૂર્વક જઈ શકે તેવા પ્રવાસન-પર્યટન વિકાસના ઉદ્દેશ સાથે 42 કિલોમીટરના આ રસ્તાના મજબૂતીકરણના વિવિધ કામકાજ માટે કૂલ મળીને રૂપિયા 43.50 કરોડની ફાળવણી કરી છે.
સ્થાનિક લોકો માટે મહત્ત્વનો નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યની મહાનગર પાલિકાઓના ધારાસભ્યોને રસ્તાઓના મજબૂત બાંધકામ માટે વધારાનું ભંડોળ ફાળવ્યાના બીજા દિવસે સૌરાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારત માટે મહત્ત્વના સાસણ ગીર અને સાસણને જોડતા સોમનાથ જ્યોતિર્લિંગ પહોંચવામાં સરળતા ઊભી થશે. એશિયાઈ સિંહોના વધતા અકસ્માત અને અકસ્માતમાં મોતના કિસ્સાને કારણે સાસણ ગીર વિશેષ ચર્ચામાં રહે છે, જેમાં સરકારે અગાઉ રેલવે કોરિડોરમાં ફેન્સિંગ વાડ બનાવવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે પણ સરકારને ટકોર કરીને સિંહોની સુરક્ષા માટે જરુરી ઉપાયો હાથ ધરવાની તાકીદ કરી હતી. હાલના તબક્કે સમગ્ર વિસ્તારના રસ્તા વધુ સુધરે તો સ્થાનિક લોકો માટે રાહત ઊભી થઈ શકે છે, એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.