ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૯.૪૨ ટકા જળસંગ્રહ: 58 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પૂરી
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૯.૧૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૦૨ ટકા અને પૂર્વ મધ્યમાં ૫૧.૬૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.
રાજ્યના 206 જળાશયમાં 3.40 લાખ એમસીએફટી પાણીસંગ્રહ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૫૯.૪૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૯૮,૫૦૩ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૦,૮૧૭ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૧.૦૬ ટકા જેટલું છે.
તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૮ ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત ૪૮ ડેમને હાઈ એલર્ટ, ૧૯ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૨ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૪૧ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૩૮ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ૧૯.૪૨ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કર્યું
ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૫ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૮.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, ૬૮.૨૩ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ ૧૯.૪૨ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે ૧૯.૬૨ લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળે ખસેડ્યાં
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૬૮૯ નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૮ જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વરસાદના કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને ૧૦૦ ટકા પૂર્વવત કરવામાં આવ્યો છે. G.S.R.T.Cથી મળેલી માહિતી મુજબ આજની સ્થિતીએ સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે બસના કોઈપણ રૂટ કે ટ્રીપ બંધ નથી.
