ગુજરાતમાં 364 પુલની તપાસ પછી બહાર આવ્યો ચોંકાવનારો ખુલાસોઃ સુરતમાં સૌથી વધુ જર્જરિત પુલ
ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર જાગ્યુંઃ શહેરી પ્રશાસને તપાસ કરતા જણાવ્યું હજુ 39 જેટલા જર્જરિત પુલ
ગાંધીનગરઃ આ વખતે રાજ્યમાં ભારે ચોમાસા વચ્ચે વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતા ગંભીર પુલ તૂટી પડ્યા પછી રાજ્યમાં ગંભીર રીતે જોખમી થયેલા પુલની ચકાસણી કરવામાં આવી છે, જે પૈકી રાજ્યમાં હજુ 39 પુલ પર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ અને બ્રિજને ભારે નુકસાન થયું છે. જેથી રાહદારીઓ અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગને દિશાનિર્દેશ અને સૂચનાઓ આપી હતી. જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારોમાં કુલ ૩૬૪ બ્રિજ આવેલા છે. જે પૈકી ૨૩૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૮૯ બ્રિજ સારી સ્થિતિમાં તેમજ ૩૯ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. વધુમાં, આ જર્જરિત બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે.
અમદાવાદમાં ત્રણ અને જામનગરમાં બે પુલ જર્જરિત હાલતમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૭૯ બ્રિજમાંથી ૬૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં અને ૦૩ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. તેવી જ રીતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજ પૈકી ૧૦ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં અને ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૦૩ બ્રિજમાંથી ૦૨ ખૂબ સારી સ્થિતિમાં, ૦૧ સારી સ્થિતિમાં, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૭ બ્રિજમાંથી ૨૦ ખુબ સારી સ્થિતિમાં, ૦૫ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં છે.

સુરતમાં 26 બ્રિજ સહિત વડોદરા-જૂનાગઢમાં બબ્બે જર્જરિત
આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૧ બ્રિજમાંથી ૧૮ ખુબ સારી સ્થિતિમાં અને ૦૩ જર્જરિત સ્થિતિમાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજમાંથી ૧૫ ખુબ સારી સ્થિતિમાં, ૦૪ સારી સ્થિતિમાં અને ૦૧ જર્જરિત સ્થિતિમાં છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૨૧ બ્રિજમાંથી ૮૦ ખુબ સારી સ્થિતિમાં, ૧૫ સારી સ્થિતિમાં અને ૨૬ જર્જરિત સ્થિતિમાં છે, તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૪૩ બ્રિજમાંથી ૧૧ ખુબ સારી સ્થિતિમાં, ૩૦ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૦૫ બ્રિજમાંથી ૦૧ ખુબ સારી સ્થિતિમાં અને ૦૪ બ્રિજ સારી સ્થિતિમાં છે.
નવસારીમાં બે પુલ જર્જરિત હાલતમાં છે
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ બ્રિજ આવેલા નથી તેમજ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં એક પણ બ્રિજ જર્જરિત હાલતમાં નથી. તદુપરાંત મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૦૪ બ્રિજ આવેલા છે જે પૈકી બધા બ્રિજ સારી સ્થિતિમાં, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૦૩ બ્રિજ આવેલા છે જે પૈકી ૦૨ ખુબ સારી સ્થિતિમાં અને ૦૧ બ્રિજ સારી સ્થિતિમાં છે તથા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૩ બ્રિજમાંથી ૦૮ ખુબ સારી સ્થિતિમાં, ૦૩ સારી સ્થિતિમાં અને ૦૨ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે.
તેવી જ રીતે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ બ્રિજ આવેલા નથી તથા સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૦૪ બ્રિજમાંથી ૦૨ ખુબ સારી સ્થિતિમાં અને ૦૨ સારી સ્થિતિમાં તેમજ વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૦૧ બ્રિજ આવેલો છે, જે ખુબ સારી સ્થિતિમાં છે, તેમ શહેરી વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
