શેર યા સવાશેરઃ ભૂલી જાઓ MRF, એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ શેરબજારનો સૌથી મોંઘો શેર કઈ રીતે બન્યો?
મુંબઈઃ જો તમારા મનમાં હજુ પણ મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ (એમઆરએફ લિમિટેડ) માર્કેટનો સૌથી મોંઘો શેર છે તો ભૂલી જાઓ, કારણ કે તાજેતરમાં એક શેરે એમઆરએફને પણ પાછળ મૂકી દીધો છે. એટલે આજની તારીખ ભારતીય શેરબજારના સૌથી મોંઘા શેરનું બિરુદ મળી ગયું છે. અત્યાર સુધીમાં ટાયર નિર્માતા અગ્રણી એમઆરએફ શેરનો ભાવ 1.20 લાખ રુપિયા હતો, જ્યારે એની તુલનામાં સ્મોલ કેપ કંપનીના એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ (Elcid Investment Ltd Share) કંપનીએ નવો ઈતિહાસ રચ્યો છે. જુલાઈ મહિનામાં આ શેરનો ભાવ 3.21 રુપિયા હતો. મુંબઈના ગુજરાતી વકીલ પરિવારની એલ્સિડ ઈન્વેસ્મેન્ટે કઈ રીતે ઈતિહાસ રચ્યો એની માર્કેટમાં ચર્ચા પતતી જ નથી. એટલે એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટના શેરે રાતોરાત શેર નહીં પણ સવાશેર કઈ રીતે બન્યો એની અતથી ઈતિ જાણીએ.
મંગળવારે 5 ટકા વધીને ઈતિહાસમાં નામ નોંધાવ્યું
એમઆરએફને પાછળ રાખીને સવાશેર બનનાર સ્મોલકેપ શેર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ ગઈકાલે મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર 2,25,000 રુપિયાના ભાવે લિસ્ટ થયો હતો, જ્યારે ઈન્ટ્રા ડેમાં પાંચ ટકા વધીને 2,36,250 રુપિયાનો ભાવ હતો, જેથી કંપનીએ નવો ઈતિહાસ રચ્યો હતો અને માર્કેટમાં સૌથી મોંઘો શેર બન્યો હતો. માર્કેટમાં તેજીને કારણે મંગળવારે કંપનીનું માર્કેટ કેપ એક અડધા દિવસમાં કરોડો રુપિયા વધ્યું હતું, જ્યારે કૂલ માર્કેટ કેપ 4,800 કરોડને પાર થયું હતું. આજે પણ માર્કેટમાં શેરના ભાવમાં લેવાલીને કારણે તેજી જોવા મળી રહી છે.
એક દિવસમાં ત્રણ રુપિયાના 2.35 લાખનો શેર બન્યો
માર્કેટમાં એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ દલાલ સ્ટ્રીટમાં હુકમનો એક્કો શેર હોવાનું લોકજીભે ચર્ચા છે. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટના શેરમાં એશિયન પેઈન્ટ્સની પણ ભાગીદારી છે. ત્રણથી ચાર રુપિયાનો શેર રાતોરાત 2.35 લાખ રુપિયાની સપાટી પાર કરી અને બુક વેલ્યુ પણ વર્તમાન ભાવથી વધારે છે. બે લાખના શેરની મૂડી સાથે એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ પાસે એશિયન પેઈન્ટ લિમિટેડમાં 2,83,13,860 ઈક્વિટ શેર એટલે 2.95 ટકા ભાગીદારી ધરાવે છે, જે અગાઉના બંધ ભાવ પ્રમાણે 8,500 કરોડ હતી અને આ જ માત્ર એક કારણથી આ શેર માર્કેટમાં આટલા ઊંચા ભાવે વેચાય છે.
જોખમની અવગણના કરવી નહીં
રાતોરાત માર્કેટમાં આકાશને આંબનારી કંપનીઓનું એનાલિસિસ કરીને રોકાણ કરવું હિતાવહ રહે છે. માર્કેટના નિષ્ણાતે કહ્યું હતું કે કંપનીનો બિઝનેસ અને અન્ય કંપની સાથે ટ્રેડ પોલિસી જે રોકાણકારો માટે સૌથી જરુરી બાબત છે, જ્યારે આ પ્રકારની કંપનીઓમાં પણ રોકાણ કરવાનું દરેક રોકાણકારે પોતાના જોખમને આધારે રોકાણ કરવું વાજબી રહે છે. કોઈ પણ શેરની ક્યારે ખરીદી કરવી અને વેચાણ કરવું એનું પણ રોકાણ કર્યા પહેલા ધ્યાન રાખવું જરુરી રહે છે.
21 ઓક્ટોબરે સર્ક્યુલર જારી કર્યો હતો
21મી ઓક્ટોબરે કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને જણાવ્યું હતું કે સોમવારે નિર્ધારિત કરવામાં આવેલી કિંમત માટે વિશેષ કોલ નિલામી તંત્રના માધ્યમથી પસંદગીની રોકાણ હોલ્ડિંગ કંપનીઓ ફરીથી લિસ્ટ કરવામાં આવશે, જેમાંથી એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ એક હતી. અન્ય કંપનીમાં નલવા સન્સ ઈન્વેસ્ટમેન્ટ, ટીવીએસ હોલ્ડિંગ્સ, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની, એલઆઈસી, મહારાષ્ટ્ર સ્કૂટર્સ વગેરે કંપનીના નામનો સમાવેશ હતો. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટના પ્રમોટર્સે 1,61,023 રુપિયાના શેરદીઠ બેઝ પ્રાઈસ પર ડીલિસ્ટિંગનો પ્રસ્તાવ મૂક્યો હતો. એના માટે સ્પેશિયલ પ્રપોઝલ પણ રજૂ કરી હતી, પરંતુ પબ્લિક શેરહોલ્ડર્સનો બહુમત નહીં મળતા પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો હતો.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)