રાહુલ ગાંધીના ‘ખટાખટ’નો જવાબ હવે વિદેશ પ્રધાને આપ્યો, જીવનમાં બધુ ક્યારેય ‘ખટાખટ’ થતું નથી…
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પછી ફરી એક વાર તેમના એક કરતા અનેક નિવેદનોને લઈ વિવાદમાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને ભાજપની ટીકા કરવાની કોશિશમાં રાહુલ ગાંધીએ દેશની છબિ ખરડાવી હોવાની સરકારે ટીકા કરવામાં આવી રહી છે ત્યારે વિદેશ પ્રધાન પણ મૌન તોડ્યું હતું.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે વિદેશમાં રહીને ખટા ખટ-ખટા ખટને લઈ કટાક્ષ કર્યો હતો. જિનેવામાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે વ્યક્તિએ સખત મહેનત કરવાની જરુરિયાત રહે છે અને જીવન કંઈ ખટાખટ નથી. જિનેવામાં ભારતીય સમુદાયને સંબોધતા વિદેશ પ્રધાન ભારત અને નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા કામકાજ અંગે વાત કરી રહ્યા હતા એ વખતે તેમણે કોંગ્રેસના નેતાની ટિપ્પણી કરી હતી.
એસ. જયશંકરે પરંપરાગત માળખાના નિર્માણ માટે જરુરી માનવ સંસાધન અંગે વાત કરતા કહ્યું હતું કે જ્યાં સુધી આપણે માનવ સંસાધનોનો વિકાસ કરીશું નહીં ત્યાં સુધી સખત મહેનત કરવાની જરુર છે. જીવન ખટાખટ નથી. જીવનમાં સખત મહેનત કરવાની જરુરિયાત છે. તેમણે કહ્યું હતું કે જે લોકોએ નોકરી કરી છે અને સખત મહેનત કરી છે એ લોકો જાણે છે. હું તમને લોકોને એક વાત કહીશ કે એ મેસેજ જીવનભર યાદ રાખજો તમારે જીવનમાં સખત મહેનત કરવાની જરુર છે.
અહીં એ જણાવવાનું કે લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં એક વચન આપ્યું હતું કે જો પાર્ટી જીતશે તો દેશની દરેક મહિલાના ખાતામાં એક લાખ રુપિયા જમા થશે. આ રુપિયા પણ ખાતામાં ખટાખટ એટલે તાત્કાલિક આવશે. રાહુલ ગાંધીનું વચન તો ફળ્યું નથી. કોંગ્રેસની સરકાર બની નહીં પણ ત્યાર પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ યોગી સહિત અન્ય ભાજપના નેતાઓએ ખટાખટ શબ્દનો ઉપયોગ કરીને કટાક્ષ કર્યો હતો.
યોગી આદિત્યનાથે અગાઉ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું હતું કે તમે એપ્રિલ-મે મહિનામાં ખટાખટ સ્કીમ અંગે સાંભળ્યું હતું, પરંતુ હવે લોકોને પણ ખબર નથી કે એ છે ક્યાં. યોગીએ કહ્યું હતું કે લોકોને એક લાખ રુપિયાના બોન્ડ પણ ભરાવ્યા હતા. દર મહિને 8,500 રુપિયા આપવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ હવે આ ખટાખટ સ્કીમનો કોઈ અત્તો-પત્તો નથી.
