આજે મધરાતથી ટોલ ટેક્સમાં વધારો થશે, જાણો કેટલો ભાર વધશે?
પહેલી એપ્રિલથી સરકાર ટોલ ટેક્સમાં વધારો કરવાની યોજના બનાવી છે. 31મી માર્ચના અડધી રાતથી ટોલ ટેક્સમાં વધારો થવાથી તમારી મુસાફરીમાં વધારો થશે. નેશનલ હાઈવે ઓથોરિટી એનએચએઆઈ અલગ અલગ એક્સપ્રેસવે અને હાઈવે પરના ટોલ ટેક્સમાં વધારો કરશે. આ અંગે સરકારે અલગ અલગ ટોલ પ્લાઝા પર ટેક્સના વધારા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો જાણો તમારે હાઈવે પર કેટલો વધુ ટેક્સ ચૂકવવાની નોબત આવશે.
લખનઉથી પસાર થનારા હાઈવે પર પહેલી એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો થશે. ટોલ ટેક્સ સંબંધિત વધારા અંગે એનએચએઆઈએ નોટિફિકેશન જારી કર્યું છે. 31 માર્ચના મધરાતથી ટોલ ટેક્સ લાગુ પડશે. હળવા વાહનો પરના ટોલ ટેક્સમાં પાંચથી દસ રુપિયાનો વધારો કર્યો છે, જ્યારે ભારે વાહનો માટે 20-25 રુપિયાનો વધારો કર્યો છે. લખનઉ-કાનપુર અયોધ્યા રાયબરેલી અને બારાબંકી હાઈવે પરના અનેક ટોલ પ્લાઝા પર નવા દર લાગુ પડશે.
દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે, ઈસ્ટર્ન પેરિફેરલ અને નેશનલ હાઈવે નવ પરથી પસાર થનારા ટોલ ટેક્સ પર પણ વધુ ટેક્સ ચૂકવવો પડશે. નવા વધારા પછી સરાય કાલે ખાથી મેરઠ સુધી કાર અને જીપથી વનવેનો ટોલ ટેક્સ 165 રુપિયાથી વધીને 170 રુપિયા થશે, લાઈટ કમર્શિયલ વ્હિકલ બસનો ટોલ 275 રુપિયા તથા ટ્રકનો ટોલ 580 રુપિયા થશે. જૂન 2024માં ટોલ ટેક્સમાં વધારો કર્યાના એક વર્ષમાં બીજી વખત ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.
નેશનલ હાઈવે નવ પરના છિજારસી ટોલ પ્લાઝા પર કાર માટે 170 રુપિયાના બદલે 175 રુપિયા ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે, જ્યારે લાઈટ કમર્શિયલ વ્હિકલ માટે 280 અને બસ-ટ્રક માટે 590 રુપિયાનો ટેક્સ ચૂકવવો પડશે. હેવી વ્હિકલ માટે 590 રુપિયા ચૂકવવા પડશે. 31 માર્ચ સુધી જૂના દર પ્રમાણે ટેક્સ લેવામાં આવશે, જેમાં ગાઝિયાબાદથી મેરઠનો ટોલ ટેક્સ વધીને 70 રુપિયાથી વધીને 75 રુપિયા થશે.
દિલ્હી-જયપુર હાઈવે પર પણ વધુ ટોલ ટેક્સ ચૂકવવાનો થશે. એનએચએઆઈએ ખેડકીદૌલા ટોલ પ્લાઝા પર પણ નવા ટેક્સ લાગુ કરવાનું નોટિફિકેશન જારી કર્યું છે. જોકે, કાર અને જીપ માટે ટોલ ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. એનએચએઆઈએ હેવી વ્હિકલ પર પાંચ રુપિયા વધારો કર્યો છે, જેથી એકંદરે ભાડાંમાં પણ વધારો થશે.
મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પહેલી એપ્રિલ, 2025થી ટોલ ટેક્સમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે. એક્સપ્રેસ વે પરથી પસાર થનારા હળવા અને ભારે એમ બંને પ્રકારના વ્હિકલ પર નવો ટોલ ટેક્સ લાગુ પડશે, એમ અગાઉ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)એ જણાવ્યુ હતું.