આ કારણે સેન્ટ્રલ રેલવેની ટ્રેનોનું ખોરવાયું છે શેડયૂલ
CSMT-Thane Local Trainમાંથી ધુમાડો નીકળતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો
મુંબઈઃ મધ્ય રેલવેમાં સીએસએમટી અને થાણે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ કરવાની સાથે અન્ય એન્જિનિયરિંગ કામ કરવામાં આવ્યા પછી ટ્રેનસેવા પર બ્રેક લાગી ગયો છે. એના સિવાયના અન્ય સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયાના 99 કલાકનો બ્લોક પછી પણ સમસ્યામાં વધારો થયો છે. ટેક્નિકલ ખામી માટે ખાસ તો સિગ્નલિંગ સિસ્ટમ જવાબદાર છે. સિગ્નલ સિસ્ટમને સીએસએમટી યાર્ડમાં ટ્રેનસેવા પર અસર પડી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે, પરંતુ રોજ અકસ્માત હોય કે પછી અન્ય ટેક્નિકલ ખામીને કારણે પ્રવાસીઓને હેરાન થવું પડે છે. ગઈકાલે જ ટ્રેનમાં સમસ્યા ઊભી થયા પછી અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું. મધ્ય રેલવે (Central Railway) પર પ્રવાસ કરનારા પ્રવાસીઓની હાલાકીનો પાર નથી. સોમવારથી ચાલી રહેલાં ટ્રેનોના ધાંધિયા ગુરુવારે પણ યથાવત્ હતા. સાંજે 4.30 કલાકથી સીએસએમટીથી થાણે માટે રવાના થયેલી લોકલના કોચમાંથી ધુમાડો નીકળતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે મધ્ય રેલવેના સીએસએમટીથી થાણે માટે સાંજે 4.30 કલાકે નીકળેલી ટ્રેન ભાયખલા રેલવે સ્ટેશન પહોંચી રહી હતી સમયે ટ્રેનના કોચમાં ધૂમાડો નીકળતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રવાસીઓ ભાયખલા સ્ટેશન પર ઉતરી ગયા હતા.
આ બાબતે રેલવે પોલીસ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ઘટનાની માહિતી મળતાં જ પ્રવાસીઓને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી. દરમિયાન બાજુના ટ્રેક પરથી પસાર થયેલાં એક એન્જિનનો ધુમાડો કોચમાં પ્રવેશ્યો હતો, જેને કારણે પ્રવાસીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી.
પરંતુ બાદમાં હકીકતની જાણ થતાં પ્રવાસીઓ ફરી ટ્રેનમાં ચઢી ગયા હતા અને ટ્રેનને થાણે માટે રવાના કરવામાં આવી હતી. મધ્ય રેલવે પર ટ્રેનવ્યવહાર પૂર્વવત થઈ ગયો હોઈ પ્રવાસીઓએ કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં, એવું પણ પોલીસે વધુમાં ઉમેર્યું હતું.
દરમિયાન આ મહિનાની શરૂઆતમાં જ મધ્ય રેલવે દ્વારા સીએસએમટી અને થાણે ખાતે 99 કલાકનો મેગા બ્લોક લેવામાં આવ્યો હતો. આ બ્લોક બાદ પ્રવાસીઓને રાહત થશે એવી આશા સેવાઈ રહી હતી, પરંતુ એવું જોવા મળ્યું નહોતું. સોમવારે જ સીએસએમટી અને દિવા-કોપર વચ્ચે સિગ્નલ ફેઈલ્યોર થતાં ટ્રેનો 3થી 4 કલાક મોડી પડી હતી. દરરોજ મધ્ય રેલવે પર કોઈને કોઈ કારણસર 15થી 20 મિનિટ મોડી પડે છે, જેને કારણે પ્રવાસીઓની હાલાકીનો અંત નથી આવતો જણાઈ રહ્યો.
