હવે ‘દાના’ ચક્રવાતનું સંકટઃ 110 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે, NDRF એલર્ટ
નવી દિલ્હીઃ આજથી લઈને આગામી બે દિવસમાં ચક્રવાતના સંકટને લઈ ફરી એક વાર દેશમાં હવામાન વિભાગની એજન્સીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળના અમુક ભાગમાં ભયંકર ચક્રવાત સાથે વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે એના સંબંધમાં અમુક રાજ્યમાં બે દિવસ માટે સ્કૂલ-કોલેજની રજા જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના ડાયરેક્ટર જનરલે સમિતિને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ચિહ્નિત કરેલા નીચા દબાણવાળા વિસ્તારની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી.
દાના ચક્રવાત પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આજે સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થાય અને 23 ઓક્ટોબર, 2024 સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી જાય તેવી સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખતા, તે 24મીની રાત દરમિયાન પુરી અને સાગર ટાપુ વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે અને 25 ઓક્ટોબર, 2024ની વહેલી સવારે 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
24મી ઓક્ટોબરે ચક્રવાત લેન્ડફોલ કરશે
આ સંબંધમાં પ્રશાસન દ્વારા પૂરીના પર્યટકોને વહેલી તકે સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરી છે. ઓડિશાના દરિયાકિનારે ટકારાવનાર ચક્રવાતને દાના નામ આપવામાં આવ્યું છે. પુરી, ભદ્રક, કેન્દ્રપાડા, જગતસિંહપુર અને કટકમાં કલાકના 100થી 110 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આઈએમડીની ચેતવણી બાદ ઓડિશા સરકારે પણ પર્યટકો માટે જરુરી ગાઈડલાઈન્સ બહાર પાડીને તાત્કાલિક પુરી છોડવાની અપીલ કરી છે. 24મી ઓક્ટોબરે ચક્રવાત લેન્ડફોલ કરશે, તેથી તેની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે.
માછીમારોએ દરિયો ખેડવો નહીં
ઓડિશા અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવોએ સમિતિને ચક્રવાતી તોફાનના અપેક્ષિત માર્ગમાં વસ્તીની સુરક્ષા માટે લેવામાં આવી રહેલા પ્રારંભિક પગલાં અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓની જાણકારી આપી હતી. માછીમારોને દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે અને દરિયામાં રહેલા લોકોને સલામત બર્થ પર બોલાવવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ પણ સક્રિય થઈ ગયા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પુરતા આશ્રય સ્થાનો, વીજ પુરવઠો, દવા અને ઇમરજન્સી સેવાઓને સજ્જ રાખવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર માટે ઓળખી કાઢવામાં આવ્યા છે.
ચક્રવાતના સંભવિત વિસ્તારોમાં ટીમ એલર્ટ
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ પશ્ચિમ બંગાળમાં 14 અને ઓડિશામાં 11 ટીમોને તૈનાત કરવા માટે સ્ટેન્ડબાય પર રાખી છે. જહાજો અને વિમાનોની સાથે આર્મી, નેવી અને કોસ્ટગાર્ડની બચાવ અને રાહત ટીમોને સજ્જ રાખવામાં આવી છે. પારાદીપ અને હલ્દિયાના બંદરો પર નિયમિત ચેતવણીઓ અને સલાહ મોકલવામાં આવી રહી છે. તાત્કાલિક પુન:સ્થાપન માટે મેસર્સ પાવર અને ડી/ઓ ટેલિકમ્યુનિકેશન દ્વારા ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્રીય પ્રધાનમંડળની ઈમર્જન્સી બેઠક
આ બેઠકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવો, કેન્દ્રીય ગૃહ સચિવ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયોના સચિવો, મત્સ્યપાલન, ઊર્જા, બંદરો, શિપિંગ અને જળમાર્ગ વિભાગના સચિવો, આંધ્રપ્રદેશના અધિક મુખ્ય સચિવ, ટેલિકમ્યુનિકેશન વિભાગના સભ્ય (ટેકનિકલ) ઉપરાંત સંકલિત સંરક્ષણ સ્ટાફના વડાથી માંડીને ચેરમેન ચીફ ઓફ સ્ટાફ કમિટી (સીઆઈએસસી), સભ્ય સચિવ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ડાયરેક્ટર જનરલ ઇન્ડિયા હવામાન વિભાગ, ડાયરેક્ટર જનરલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ડાયરેક્ટર જનરલ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
