અમદાવાદમાં દેશના સૌથી સફળ કોન્સર્ટનું થયું આયોજનઃ સરકારના મજબૂત વ્યવસ્થાપને હાંસલ કરી નવી સિદ્ધિઓ
બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી, વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો
ગાંધીનગરઃ વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાયો હતો. બે દિવસીય આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 1.3 લાખ લોકોએ ટિકીટ ખરીદી હતી અને આ ભવ્ય સમારોહમાં સામેલ થવા માટે અંદાજે 2.5 લાખ જેટલા લોકો શહેરમાં પહોંચ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો. રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું. 1.3 લાખ લોકોએ એકસાથે આ કોન્સર્ટને માણ્યો તે સંખ્યાની દૃષ્ટિએ અત્યારસુધી ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે શૉ બન્યો છે.
પીએમ મોદીએ પણ કોન્સર્ટની નોંધ લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ઉત્કર્ષ ઓડિશા- મેક ઇન ઓડિશા કૉન્ક્લેવ 2025’ કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા અને દેશમાં કોન્સર્ટ ઇકોનોમીની વ્યાપક તકો અંગે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના સફળ આયોજન અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ ગુજરાતે વર્ષ 2023માં જી-20 સમિટ અને ક્રિકેટ વિશ્વકપ જેવા કાર્યક્રમોની સફળતાપૂર્વક યજમાની કરી છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે રાજ્યમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા રાજ્યની વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.”
બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી
કોલ્ડપ્લે કોન્સર્ડ દરમિયાન ગુજરાત સરકારે ૩ દિવસમાં વધુને વધુ લોકોને બસ, ટ્રેન અને મેટ્રો સેવાનો લાભ મળે તે સુનિશ્ચિત કર્યું હતું. કોન્સર્ટના બે દિવસોમાં અમદાવાદ મેટ્રોએ સૌથી વધુ મુસાફરીનો માઇલસ્ટોન નોંધાવ્યો હતો જેમાં ₹66 લાખની આવક થઇ હતી. આ બે દિવસ દરમિયાન કુલ 4,05,264 લોકોએ મેટ્રોની મુસાફરી કરી હતી. કોન્સર્ટ દરમિયાન મેટ્રોએ ટ્રીપની સંખ્યા વધારી હતી અને બે દિવસમાં કુલ 833 ટ્રીપ કરી હતી. આ પહેલા ક્રિકેટ વર્લ્ડકપ અને આઇપીએલ દરમિયાન સૌથી વધુ મુસાફરી નોંધાઇ હતી. 14 ઓક્ટોબર 2023ના રોજ ક્રિકેટ વિશ્વકપ 2023 દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચના દિવસે 1,42,972 લોકોએ મુસાફરી કરી હતી અને વિશ્વકપની ફાઇનલ દરમિયાન 19 ઓક્ટોબર 2023ના રોજ 1,37,801 લોકોએ મુસાફરી કરી હતી. આઇપીએલ 2024ની ફાઇનલ મેચના દિવસે 22 મે, 2024ના રોજ મુસાફરીનો આંકડો 1,65,504નો રહ્યો હતો.
જડબેસલાક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા
આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી દર્શકો અમદાવાદ પહોંચવાના હોવાથી રાજ્ય સરકાર તરફથી સુરક્ષા અને પરિવહન માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તરફથી ઉચ્ચ અધિકારીઓ સહિત 1800થી વધુની ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. કાર્યક્રમની ચોક્કસ દેખરેખ માટે 2 પોલીસ કન્ટ્રોલ રૂમ અને 2 સીસીટીવી કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા હતા જેમાં 470 જેટલા સીસીટીવીથી દેખરેખ રાખવામાં આવી હતી.
1500 ટનથી વધુ કચરાનો નિકાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતાની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ સફાઇ માટે 492 સ્વચ્છતા કર્મચારીઓ સાથે 14 જેસીબી મશીનો અને 27 ટ્રક ફાળવવામાં આવ્યા હતા. 12 સ્વીપર મશીનોની મદદથી સફાઇની કામગીરી કરવામાં આવી હતી અને 5 કોમ્પેક્ટર અને વધારાના 10 SWM વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 48 કલાકની અંદર 1550 ટન જેટલા કચરાને એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
3 દિવસમાં 900થી વધુ ફ્લાઈટની અવરજવર
ત્રણ દિવસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 900થી વધુ ફ્લાઇટ્સ પહોંચી હતી, જે સામાન્ય દિવસો કરતા લગભગ બમણી સંખ્યા છે. આ દિવસો દરમિયાન ભારતભરમાંથી અમદાવાદ પધારેલા મહેમાનોએ કોન્સર્ટ ઉપરાંત અમદાવાદ શહેરના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી