ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં ગુજરાતની શાન ગણાતા સિંહોના કર્યા દર્શન
વનકર્મીઓને પેટ્રોલિંગ અને રેસ્ક્યૂ માટે નવા વાહનોની ભેટ.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાસણ ગીરમાં વનકર્મીઓ માટેના 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ વેળાએ વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી તેમ જ વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડીફાઈડ રેસ્ક્યૂ વ્હીકલ્સ, ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ, પ્રોટેક્શન તેમજ રેસ્ક્યૂ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા. આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા.
ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે.
ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી માર્ચની વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેને કારણે રોજગારીની તકો પણ વધી છે. મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવોના સંરક્ષણ ની કામગીરીની માહિતી આપી હતી. સીએમની ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
