Important Announcement: આજે CSMTથી છેલ્લી લોકલ આટલા વાગ્યે રવાના થશે
મુંબઈ: મધ્ય રેલવે પર આજે રાતથી જ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે, પરિણામે જો તમે મોડી રાત્રે મધ્ય રેલવે પર પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચી લેજો. જેથી તમારે હાલાકીનો સામનો ન કરવો પડે.
રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કર્ણાકબંદર બ્રિજના કામ માટે આ બ્લોક લેવામાં આવશે. આ બલોકને કારણે સીએસએમટી- ભાયખલા વચ્ચે અને હાર્બર લાઈન પર સીએસએમટી – વડાલા વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. આ બ્લોક શનિવારે રાતે 12.30 કલાકથી વહેલી સવારે 4.30 કલાક સુધી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષથી આ કર્ણાક બંદર બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે. બ્લોકને કારણે લોકલ ટ્રેનોની સાથે સાથે જ લાંબા અંતરની એકસપ્રેસ ટ્રેનો પર પણ આ બ્લોકની અસર જોવા મળશે.
અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે શનિવારે છેલ્લી લોકલ 12.31ને બદલે 12.14 કલાકે રવાના કરવામાં આવશે. આ લોકલ કસારા લોકલ હશે. એ રીતે કલ્યાણથી સીએસએમટી માટે 10.34 કલાકે દોડાવવામાં આવશે. હાર્બર લાઈન પર સીએસએમટીથી 12.13 કલાકે રવાના કરવામાં આવશે અને પનવેલથી સીએસએમટી માટે છેલ્લી લોકલ 10.46 કલાકે રવાના કરવામાં આવશે, જેની પ્રવાસીઓએ નોંધ લેવાની અપીલ મધ્ય રેલવે દ્વારા કરવામાં આવી છે.
શનિવારે હાથ ધરવામાં આવનાર આ સ્પેશિયલ મેગા બ્લોકને કારણે લાંબા અંતરની મેલ એકસપ્રેસ ટ્રેનો પર પણ અસર જોવા મળશે અને કેટલીક ટ્રેનો દાદર ખાતે જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે જેમાં હાવડા- સીએસએમટી સુપર ફાસ્ટ એક્સપ્રેસ, અમૃતસર- સીએસએમટી એક્સપ્રેસ, મડગાંવ- સીએસએમટી જનશતાબ્દી એક્સપ્રેસ, મડગાંવ- સીએસએમટી તેજસ એક્સપ્રેસ, ભુવનેશ્વર-સીએસએમટી કોણાર્ક એક્સપ્રેસ, હાવડા- સીએસએમટી મેઇલનો સમાવેશ થાય છે.
