બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રેલવેની ઝાટકણી કાઢતાં કહ્યું કે મને ખુદ શરમ આવે છે…
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ રેલવે પ્રશાસન (Railway Authority)ને એવો સવાલ કર્યો હતો કે શું તેઓ રેલવે એક્સિડન્ટમાં થતાં મૃત્યુને રોકી શક્યું છે? એટલું જ પ્રવાસીઓને જાનવરો કરતાં પણ બદતર હાલતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે એ માટે પણ કોર્ટે રેલવેની ઝાટકણી કાઢી હતી. પ્રવાસીઓના જીવ બચાવવા એ તમારૂ કર્તવ્ય છે અને એ માટે તમારે કોર્ટને આદેશ પર નિર્ભર ન રાખવો જોઈએ એવું વધુમાં ઉમેર્યું હતું. કોર્ટ દ્વારા આ ભલામણ એક પીઆઈએલની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં રેલવેમાં થતાં અકસ્માતને રોકવા માટેની વિવિધ ઉપાયયોજના અને સૂચનો આપવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસે આકરા શબ્દોમાં રેલવેની ટીકા કરતા એવું પણ કહ્યું હતું કે જે રીતે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસીઓએ પ્રવાસ કરવો પડે છે એ જોઈને મને ખુદ શરમ આવે છે.

હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં જણાવવામાં આવ્યું છે કે આખી દુનિયામાં ટોક્યો પછી ભારતીય રેલવે સૌથી વ્યસ્ત રેલવે નેટવર્ક છે. પરંતુ આ નેટવર્ક પર દર વર્ષે 2000થી વધુ લોકોના મૃત્યુ થાય છે અને એમાંથી 33.8 ટકા લોકોના મૃત્યુ તો રેલવે ટ્રેક પર થાય છે. આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રેલવેનું મૂળભૂત માળખું ખૂબ જ જૂનું છે અને બિસ્માર હાલતમાં છે. આજના સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. યાચિકાકર્તાએ પોતાની પીઆઈએલમાં એવું પણ ઉમેર્યું છે કે રેલવે હમેશાં ટ્રેક પર પડી જવાને કારણે કે ટ્રેક ક્રોસ કરતી વખતે થયા મૃત્યુને અનિચ્છનીય બનાવ ગણાવીને હાથ ઊંચા કરી દે છે.
જ્યારે કોર્ટે રેલવેને પૂછ્યું કે તેમણે ટ્રેનમાંથી પડી જવાને કારણે કે ટ્રેક ક્રોસ કરતી વખતે થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે કોઈ નક્કર પગલાં લીધા છે કે કેમ? કોર્ટે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે એવું કહીને પોતાની ફરજમાંથી છટકી ન શકે કે તેઓ દરરોજ 33 લાખ પ્રવાસીઓનું વહન કરે છે. ચીફ જસ્ટિસે એવું પણ કહ્યું હતું કે તમારે તમારો દ્રષ્ટિકોણ બદલવો પડશે. આ વખતે અમે અધિકારોને આ માટે જવાબદાર બનાવવા જઈ રહ્યા છીએ. તમે લોકો દરરોજ લાખો પ્રવાસીઓને ઘેટાં બકરાં કે એનાથી પણ ખરાબ હાલતમાં પ્રવાસ કરવા માટે મજબુર કરો છો.

આ બાબતે આપેલા આદેશ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે પીઆઈએલમાં ઉપસ્થિત કરવામાં. આવેલા તમામ મુદ્દાઓ પર સબંધિત એમાં પણ ખાસ કરીને રેલવે બોર્ડના સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત કોર્ટે મધ્ય અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને આ બાબતે એક એફિડેવિટ રજૂ કરવાની અને અકસ્માતને રોકવા શું ઉપાયો કર્યા છે એની માહિતી રજૂ કરવાનું જણાવ્યું છે.
