ભૂપેન્દ્ર પટેલે કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું
ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી પ્રોત્સાહન મળતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૨૦૧૩માં જ રોબોટિક સર્જરીની શરૂઆત કરાવી હતી. હવે મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમન્વયનો જમાનો છે. ગુજરાતમાં વિવિધ તબક્કે હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિનિયોગની તકો રાજ્ય સરકારે વિકસાવી છે, એમ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મોડર્ન મેડિકલ સાયન્સ માટે અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર અને જરૂરી માનવબળનો વિકાસ સાથે ફ્યુચરીસ્ટીક ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક વ્યક્તિ, દરેક નાગરિક સુધી ઉત્તમ અને એફોર્ડેબલ હેલ્થ કેર પહોંચાડવા માટે પ્રયાસો કર્યાં છે.
પરિણામે દેશના હેલ્થ સેક્ટરમાં એ.આઇ. અને રોબોટીક્સ જેવી ટેકનોલોજીને ખૂબ વેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. કાઈઝન હોસ્પિટલ ૧૦૦ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ (જી.આઈ.) સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે, તે ઉપલબ્ધિની ઉજવણીના અવસરે મુખ્યમંત્રીએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પ્રણાલીને આગળ વધારતાં કેન્સર હોસ્પિટલમાં ૯૫ કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ – રોબોટિક લિનિયર એક્સલેટર મશીન સરકારે વસાવ્યું છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં પણ ર૦૨૨થી રોબોટીક્સ સર્જરી શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં મેડીકલ ક્ષેત્રમાં વધુને વધુ નવું અને ટેકસેવી માનવબળ મળે તે દિશામાં પાછલા દસ વર્ષમાં પ્રયાસો થયાં છે. મેડિકલ ક્ષેત્રમાં પણ એ.આઇ.નો ખૂબ જ ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે. એ.આઇ. અને ટેલીમેડીસીનના કારણે હવે દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. એ.આઇ.ના પરિણામે હવે દર્દીના રોગની હિસ્ટ્રી સરળતાથી મળી રહે છે અને ડોક્ટર્સને પણ ક્લીનિકલ ડિસિઝન સપોર્ટ મળી રહે છે એટલે દર્દીની સારવાર કરવામાં લાગતો સમય ઘટે છે. ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર પણ મળી રહે છે.
રાજ્ય સરકારે આ પ્રકારનું એ.આઇ. આધારિત ડિજિટલ ICU યુ.એન. મહેતા ખાતે શરૂ કર્યું છે. વડાપ્રધાન જ્યારે પણ એ.આઇ. ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કરે છે ત્યારે હેલ્થ સેક્ટરમાં એ.આઇ.ના ઉપયોગ પર સવિશેષ ભાર મૂકે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સના ઇનોવેટર્સને મળે છે ત્યારે તેઓ આરોગ્ય ક્ષેત્રની ચેલેન્જીસના પ્રેક્ટીકલ સોલ્યૂશન લાવવાની તેમને પ્રેરણા આપે છે. ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત કર્યું છે, તેમાં પણ હેલ્થ સેક્ટરના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીએ છીએ.
દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા ૩૧૯થી વધીને ૭૦૩ થઈ છે. MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં મેડિકલ સીટો ૮૫ હજારમાંથી ૧ લાખ ૬૮ હજાર થઈ છે. દેશમાં ૨૨ એમ્સ કાર્યરત છે. મુખ્યમંત્રીએ સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવતા કહ્યું કે, પ્રિવેન્શન ઇઝ બેટર ઘેન ક્યોર. બેક ટુ બેઝિક- નેચર તરફ પાછા વળી રોગ થાય જ નહીં તેવું જીવન જીવવું જોઇએ.