ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી 2026: જાણો છઠ્ઠી માર્ચના શુભ મુહૂર્ત, ચંદ્રાદયનો સમય…
હિન્દુ ધર્મમાં ગણેશજીની ઉપાસના માટે સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને ‘ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી’ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી માર્ચ, 2026ના રોજ આવતી આ ચતુર્થી ભક્તોના જીવનમાંથી તમામ સંકટો દૂર કરનારી અને સુખ-સમૃદ્ધિ લાવનારી માનવામાં આવે છે. ચાલો જાણીએ ભાલચંદ્ર સંકષ્ટિ ચતુર્થીની પૂજા-વિધિ અને મુહૂર્ત વિશે…
ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી: તારીખ અને શુભ મુહૂર્ત
પંચાંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ચૈત્ર માસની આ ચતુર્થી આજે એટલે કે શુક્રવારે શરૂ થઈને શનિવારે પૂર્ણ થશે. જોકે, સંકષ્ટીમાં રાત્રિના ચંદ્રદર્શનનું મહત્વ હોવાથી વ્રત છઠ્ઠી માર્ચના રોજ રાખવામાં આવશે.
ચતુર્થી તિથિ પ્રારંભ: 6ઠ્ઠી માર્ચ 2026, શુક્રવાર – સાંજે 07.53વાગ્યે.
ચતુર્થી તિથિ પૂર્ણ: 7મી માર્ચ 2026, શનિવાર – સાંજે 07.17વાગ્યે.
સવારનો પૂજા મુહૂર્ત: સવારે 06.41થી 11.05 વાગ્યા સુધી.
રાત્રિનો પૂજા મુહૂર્ત: રાત્રે 09.28થી 11 વાગ્યા સુધી.
ચંદ્રાદયનો સમય (Moonrise): રાત્રે 09.31 વાગ્યે.
પૂજા માટેની જરૂરી સામગ્રી
શાસ્ત્રો મુજબ ગણેશ પૂજામાં કેટલીક વસ્તુઓ અનિવાર્ય છે જેમાં ગંગાજળ, ધૂપ-દીપ, કપૂર, લાલ કપડું અને ચોકી, દૂર્વા (ગણેશજીને અતિ પ્રિય), જનોઈ, રોલી, કળશ, મોદક અથવા લાડુ, સોપારી, પંચામૃત, લાલ ચંદન અને ફળનો સમાવેશ થાય છે.
વ્રત અને પૂજાનું મહત્વ
એવી સર્વ સામાન્ય માન્યતા છે કે પૂનમ પછી આવતી આ ચતુર્થીના દિવસે જે ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય આપીને વ્રત ખોલે છે, તેમના પરિવારમાં જ્ઞાન અને બુદ્ધિનો વિકાસ થાય છે. ભગવાન ગણેશ ‘વિઘ્નહર્તા’ હોવાથી જીવનના મોટામાં મોટા સંકટો આ દિવસે પૂજા કરવાથી ટળી જાય છે.
ગણેશજીના 12 પ્રભાવશાળી નામો
સંકષ્ટીના દિવસે પૂજા દરમિયાન ગણેશજીના આ 12 નામોનું સ્મરણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને વિદ્યાભ્યાસ કે લગ્ન જેવા કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને ગણેશજીના આ બાર નામ નીચે મુજબ છે.
1. સુમુખ
2. એકદંત
3. કપિલ
4. ગજકર્ણક
5. લંબોદર
6. વિકટ
7. વિઘ્ન-નાશક
8. વિનાયક
9. ધૂમ્રકેતુ
10. ગણાધ્યક્ષ
11. ભાલચંદ્ર
12. ગજાનન
