June 30, 2025
ધર્મનેશનલ

બાબા બદરીનાથના ખૂલ્યા કપાટઃ લશ્કરી બેન્ડની ધૂન વચ્ચે લોકોએ કર્યું સેલિબ્રેશન

Spread the love

 

ક્ષમતા કરતા વધુ લોકો પહોંચતા ઉત્તરાખંડ પોલીસે કરી શ્રદ્ધાળુઓને મોટી અપીલ

બદરીનાથઃ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા શરુઆત થઈ છે. બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા પછી યમનોત્રી ધામ અને આજે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા છે. પણ શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે આજે યાત્રા નહીં કરવાની અપીલ કરી છે.

દસમી મેથી બાબા કેદરાનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા, ત્યાર બાદ એ જ દિવસે યમનોત્રીના દ્વાર ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ ભક્તોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. બંને યાત્રાધામના કપાટ ખોલ્યા પછી આજે બાબા બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા છે. આજે સવારે પરંપરાગત રીતે અને ભારતીય લશ્કરના બેન્ડની ધુનથી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. બાબા બદરીનાથના દર્શન માટે પહોંચેલા ભક્તોએ સાથે મળીને લોકોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.

અક્ષય તૃતિયાના દિવસ દરમિયાન યમનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ભક્તોની સંખ્યાને જોઈને પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે. મૂળ ક્ષમતા કરતા વધુ ભક્તો પહોંચ્યા હોવાથી જોખમ ઊભું થઈ શકે છે, તેથી આજે લોકોને ટ્રાવેલ નહીં કરવાની અપીલ કરી હતી.

બે દિવસમાં હજારો લોકોએ સોશિયલ મીડિયા પર ચારધામ યાત્રાના ફોટોગ્રાફ, વીડિયો પોસ્ટ કર્યા છે, જેથી લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમ છતાં સુરક્ષાના કારણસર લોકોને યાત્રા નહીં કરવાની અપીલ કરી છે. ઉત્તરાખંડ પોલીસે સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકીને આજે સ્થગિત કરવાની શ્રદ્ધાળુઓને ભલામણ કરી છે.

વધતી શ્રદ્ધાળુઓની ભીડને કારણે ઠેરઠેર રસ્તાઓ પર ટ્રાફિક જામ લાગ્યા છે. અમુક વિસ્તારમાં વરસાદ પડવાને કારણે તેની અસર પડી છે. શનિવારે પડેલા ભારે વરસાદને કારણે બદરીનાથ હાઈવેથી રુદ્રપ્રયાગ, સિરોબગઢના રસ્તા પર પહાડમાંથી કાટમાળ પડવાને કારણે રસ્તાઓ બંધ કરવાની નોબત આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!