વાઇલ્ડલાઈફ: ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યા વધીને થઈ 891
બરડા અભયારણ્યમાં 17 સિંહની નવી વસાહત સાથે ‘પ્રોજેક્ટ લાયન’ને મળી મોટી સફળતા
ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યા 2025માં વધીને 891 થઈ છે, જે જૂન 2020ની તુલનામાં 32.19 ટકાનો વધારો થયો છે. વર્તમાન સંખ્યા પ્રમાણે 196 વયસ્ક અને 330 સિંહણ આવેલી છે. ગીર અને આસપાસના વિસ્તારમાં કૂલ 394 છે, જ્યારે અન્ય નવ બહારના વિસ્તારમાં કૂલ 497 સિંહ રહે છે.
‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે.
‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે, ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે. ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર દ્વારા વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧, વર્ષ ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વર્ષ ૨૦૨૫માં વધીને ૮૯૧ થઈ છે. બરડો અભયારણ્ય લગભગ ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં પથરાયેલા ડુંગરો, ઋતુગત નદીઓ, ઉચ્ચપ્રદેશ, પાનખર જંગલો, વાંસના ઝાડ તથા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સામેલ છે. કિલગંગા અને ઘોડાદરા જેવી નદીઓ તેમજ આભાપરા અને વેણુ ટેકરીઓ બરડાની ભૌગોલિક ઓળખ બનાવે છે.
પર્યાવરણીય મહત્વ
અહી ૬૫૦થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધાયેલી છે, જેમાં ઔષધીય છોડ, શાકાહારી ઘાસ અને ઇમારતી વૃક્ષોનો સમાવેશ થાય છે . આ ઉપરાંત, અહીંની જીવસૃષ્ટિમાં ચિતલ, સાંભર, નિલગાય, જંગલી ભૂંડ, શાહુડી, ઝરખ અને દિપડા નિયમિત પણે જોવા મળે છે. સાથે ગીઘ, ગરુડ અને સ્થળાંતર કરનાર જળચર પક્ષીઓ સહિત ૨૬૦થી વધુ પ્રજાતિઓ પણ અહી જોવા મળેલ છે જે શાકાહારી તથા માંસાહારી પ્રાણીઓ એમ બંને માટે ઉપયોગી નિવાસ સ્થાન બનાવે છે.
સિંહની પુનઃસ્થાપના – કુદરતી વસવાટ
વર્ષ ૧૮૭૯ બાદ બરડામાંથી એશિયાટિક સિંહ લુપ્ત થઇ ગયા હતા. Habitat અને Prey Availability (શિકાર પ્રાણીઓની હાજરી) સુધારવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં જટિલ વિજ્ઞાન આધારિત વ્યવસ્થાઓ અમલમાં મૂકાઈ છે. તેના પરિણામે, વર્ષ ૨૦૨૩માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે બરડામાં પ્રવેશી સ્થાયી થયો.
સ્વનિર્ભર સિંહ સમૂહ વિકસે તે માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળના કાર્યક્રમમાં ગુજરાત વન વિભાગ દ્વારા વિસ્તૃત આરોગ્ય તપાસણીઓ અને વર્તણૂક મૂલ્યાંકન બાદ પાંચ પુખ્ત માદા સિંહને બરડા વિસ્તારમાં સ્થળાંતરીત કરવામાં આવી. આ સુઆયોજિત પ્રજાતિ મજબૂતીકરણ(species reinforcement)ના પગલે કુદરતી રીતે બચ્ચા જન્મ્યા અને એક નાનું પ્રાઇડ વિકસ્યું. છેલ્લી વર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ હતી. આ પ્રમાણને આધારે બરડાને પ્રોજેક્ટ લાયન હેઠળ સેટેલાઈટ પોપ્યુલેશન – ૮ તરીકે જાહેર કરવામાં આવ્યું, જે સંપૂર્ણ રીતે રક્ષિત વિસ્તારમાં (Protected Area) વસેલી પહેલે સેટેલાઈટ વસાહત બની.
માલધારી સમુદાય અને સહઅસ્તિત્વનું મોડેલ
અભયારણ્યના આંતરિક વિસ્તારોમાં લગભગ ૧૨૦૦ જેટલા માલધારી પરિવાર આશરે ૬૮ નેસોમાં વસે છે. તેઓ પેઢીદર-પેઢી પશુપાલન અને અનુકૂળ પર્યાવરણીય જીવનશૈલી અપનાવે છે. રબારી, ભરવાડ અને ગઢવી સમુદાયો પણ અહીંના સામાજિક પરિપ્રેક્ષ્યનો ભાગ છે. વનવિભાગ દ્વારા સ્વૈચ્છિક પુનર્વસન અને ઇકો-ડેવલપમેન્ટ કમિટીના માધ્યમથી સ્થાનિક સહભાગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, પશુ આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમો અમલી બનાવાયા છે.
