ગુજરાતમાં 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી: રાજ્યમાં હવે 265 તાલુકાઓ થશે
2013 પછી પ્રથમવાર જિલ્લા અને તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર, વાવ-થરાદ બનશે નવો જિલ્લો
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા ૧૭ તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે. વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૦૬ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. વર્ષ ૨૦૧૩માં નવા ૨૩ તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં ૧૭ નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે. ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે. જોકે, ઉત્તર ગુજરાતના લોકોમાં ખાસ કરીને મહેસાણા જિલ્લાના લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે, જે મોટો હોવા છતાં હજુ પણ જરુરી તાલુકાનું વિભાજન કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાનએ વિકસિત ભારત @ ૨૦૪૭ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા-તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા ૧૭ તાલુકાઓની રચના થવાથી હાલના ૫૧ વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં ૧૦ તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.
એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે. દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પૂરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
