અમદાવાદ પ્લેન ક્રેશના તમામ પેસેન્જર અને ક્રૂના ડીએનએ મેચ થયા, 260 મૃતકની ઓળખ
વિમાન દુર્ઘટનામાં તમામ મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપાયા
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને લગભગ પંદર દિવસથી વધુ સમય થયો, પરંતુ હજુ આરોગ્ય વિભાગ ખડેપગે કામ કરી રહ્યું છે, જેમાં 260 મૃતકની ઓળખ કરવામાં આવી છે, જ્યારે પ્લેનમાં સવાર પ્રવાસીઓની પણ ઓળખ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે તારીખ 12 જુન 2025 ના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા છે અને આ તમામ 241 મૃતકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
DNA ટેસ્ટથી ૨૫૪ જણની કરવામાં આવી ઓળખ
વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ એમ કુલ ૨૬૦ મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જે તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. તેમણે આ ક્ષણે આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ,FSL, AMCની ટીમ, સ્વયં સેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો.
ઓળખાયેલા ૨૬૦ મૃતકમાં ૧૮૧ ભારતના નાગરિક
આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે તેમ મંત્રીશ્રીએ જણાવીને આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે ઓળખાયેલા ૨૬૦ મૃતકોમાં ૧૮૧ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૯ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. ૨૬૦ પાર્થિવ દેહમાંથી ૩૧ હવાઇ માર્ગે (બાય એર) અને ૨૨૯ રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ૨૫૪ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૪૧ પેસેન્જર અને ૧૩ નોન પેસેન્જર છે. કુલ ૧૯ નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ ની ઓળખ ચેહેરાથી કરાઈ છે.
સૌથી વધુ પાર્થિવ દેહ અમદાવાદના
સ્વજનોને સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો જોઇએ તો ઉદયપુર ૭, વડોદરા ૨૪, ખેડા ૧૧, અમદાવાદ ૭૩, મહેસાણા ૭, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૯, ભરૂચ ૭, સુરત ૧૨, પાલનપુર ૧, ગાંધીનગર ૭, મહારાષ્ટ્ર ૧૩, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૩, લંડન ૧૩, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૨, નડિયાદ ૧, બનાસકાંઠા ૨, જામનગર ૨, પાટણ ૪, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, કચ્છ ૧, ખંભાત ૨, મણિપુર ૧, કેરળ ૧ અને મધ્યપ્રદેશના ૧ એમ કૂલ ૨૬૦ પાર્થિવ દેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.