આમ આદમી પાર્ટીએ લોન્ચ કર્યું મિશન 2027 ગુજરાતઃ 450થી વધુ પદાધિકારીની કરી નિમણૂક
ગુજરાતમાં કોંગ્રેસ પોતાની પાર્ટીને બેઠી કરવા માટે અત્યારથી કમર કસી છે ત્યારે તાજેતરમાં સાથી પક્ષ ગણાતા આમ આદમી પાર્ટીએ પણ પક્ષને મજબૂત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આમ આદમી પાર્ટીએ મિશન 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી છે. આમ આદમી પાર્ટીના હાથમાંથી દિલ્હી ગુમાવ્યા પછી મોદીના ગુજરાતમાં હવે પાર્ટી વધુ મજબૂત બનવાની કવાયત હાથ ધરી છે, જે અન્યવે પાર્ટીએ પદાધિકારીની નિમણૂક પણ કરી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત એકમ દ્વારા આગામી સ્થાનિક પાલિકાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી 2027 માટે મિશન વિસ્તાર 2027ની શરુઆત કરી છે. ગુજરાત એકમનું નેતૃત્વ કરનારા ગોપાલ રાય અને દુર્ગેશ પાઠકની આગેવાની હેઠળ પાર્ટીએ અત્યાર સુધીમાં 450થી વધુ પદાધિકારીની નિમણૂક કરી છે.
મિશન 2027 અન્યવે તમામ લોકસભાના મતવિસ્તાર માટે ઝોનલ ઈન્ચાર્જ, લોકસભાના ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જની નિમણૂક કરી છે. એ જ રીતે તમામ વિધાનસભાના વિસ્તાર માટે વિધાનસભાના ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જની નિમણૂક કરી છે. આ નિમણૂક માટે ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ભરૂચ અને નર્મદા વગેરે જિલ્લામાંથી લોકોની પસંદગી કરી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના મિશન 2027 અંતર્ગત પ્રદેશમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નીચે પ્રમાણે પદાધિકારીઓને સંગઠન નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. pic.twitter.com/V8UCr9Taux
— AAP Gujarat (@AAPGujarat) April 14, 2025
આમ આદમી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ મૂળ પાયાથી સંગઠનને મજબૂત કરવાનો છે અને એવું પણ માનવામાં આવે છે કે આગામી સમયગાળામાં વધુ લોકોની નિમણૂક કરવામાં આવશે, જેથી સ્થાનિક મુદ્દાને પાર્ટી વધુ તાકાતથી ઉઠાવી શકે. અહીં એ જણાવવાનું કે 2022માં વિધાનસભાની 182 સીટ પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાં પાંચ સીટ પરથી જીત મળી હતી, જ્યારે 13 ટકા વોટનો હિસ્સો રહ્યો હતો. સૌથી મોટો ફિયાસ્કો પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઈશુદાન ગઢવી હારી ગયા હતા. એટલું જ નહીં, પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામથી હાર્યા હતા, પરંતુ હવે નવેસરથી પાર્ટીને મજબૂત કરવાનું બીડું ઝડપ્યું છે.