Made In Kutch: બુલેટ ટ્રેનના કોરિડોર માટે ઈન્સ્ટોલ કર્યો નવો સ્ટીલ બ્રિજ, જાણો ક્યાં??
ભચાઉઃ ગુજરાતમાં કચ્છ અને ટૂરિઝમ સેક્ટરની જાહેરાત માટે ઈવન ખુદ બિગ બી અને સરકારે સ્લોગન આપ્યું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હકીકતમાં કચ્છે ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. હવે આ જ ભોમની પ્રોડક્ટ એટલે ભચાઉમાં મેન્યુફેકચર કરવામાં આવેલા સ્ટીલ બ્રિજનો બુલેટ ટ્રેનના કોરિડોર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા અને પરિણામો પછી પણ બુલેટ ટ્રેનના પ્રકલ્પમાં ડબલ સ્પીડે કામ કરવામાં આવી રહ્યું છે.
બાજવા-છાયાપુરી સેક્શનમાં બ્રિજ ફીટ કર્યો
નેશનલ હાઈ સ્પીડ રેલ કોરપોરેશન (એનએચએસઆરસી)એ મેક ઈન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાના ભાગરુપે વડોદરામાં 60 મીટર લાંબો સ્ટીલ બ્રિજને વડોદરાના બાજવા-છાયાપુરી સેક્શનમાં ફીટ કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના બાજવા-છાયાપુરી રેલવે લાઈનમાં બુધવારે કામકાજ સંપન્ન કરવામાં આવ્યું છે, જે બુલેટ ટ્રેનના કોરિડોરમાં સૌથી પહેલો મેડ ઈન કચ્છ બ્રિજ તૈયાર કરવામાં આવ્યા પછી ફીટ કરવામાં આવ્યો છે.
645 મેટ્રિક ટનનો બ્રિજ ઈન્સ્ટોલ કર્યો
બુલેટ ટ્રેનના કોરિડોરમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલો બ્રિજ કચ્છના ભચાઉ વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ 60 મીટર લાંબો છે તેમ જ 12.5 મીટરથી ઊંચો અને 14.7 મીટર ઊંચો છે. આ બ્રિજનું વજન લગભગ 645 મેટ્રિક ટન છે. મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના કોરિડોરમાં અનેક નદીઓની સાથે પર્વતીય વિસ્તાર હોવાને કારણે અનેક નાના-મોટા પુલ તૈયાર કરવામાં આવશે, જ્યાં 28થી વધુ સ્ટીલ બ્રિજનો ઉપયોગ કરવામાં આવશે. 28 સ્ટીલ બ્રિજ પૈકી આ પાંચમો બ્રિજ ઈન્સ્ટોલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
રોજની 35 ટ્રેન દોડાવવાની યોજના
આ પ્રોજેક્ટ પૂરો થયા પછી મુંબઈથી અમદાવાદ બેથી અઢી કલાકમાં પહોંચવામાં આવશે, જ્યારે રોજના 35 ટ્રેન દોડાવવાની યોજના છે. રોજના દર 20થી 30 મિનિટમાં એક ટ્રેન દોડાવવાની યોજના છે, જ્યારે આ ટ્રેનનો કંટ્રોલ રુમ સાબરમતી ખાતે હશે. પહેલા તબક્કામાં સુરતથી બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, ત્યારબાદ સંપૂર્ણ કોરિડોરમાં દોડાવાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 2019ના ઈલેક્શન પછી મહાવિકાસ આઘાડીની સરકાર બન્યા પછી બુલેટ ટ્રેનના પ્રકલ્પમાં અવરોધ ઊભો કર્યો હતો, જે પરિણામો પછી શું થશે એ સમય કહેશે, પરંતુ બુલેટ ટ્રેન સાથે અનેક પ્રકલ્પોનો મહારાષ્ટ્રમાં મૃત્યુઘંટ વાગી જશે એ પણ ફક્ત રાજકીય કિન્નાખોરી અને દુશ્મનાવટ માટે.