ટ્રેનમાં જન્મેલાં બાળકને ભારતીય રેલવેમાં આજીવન મફત મુસાફરી મળે છે? શું છે હકીકત…
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કેટલી સચ્ચાઈ છે? શું ખરેખર ભારતીય રેલવે આ વિશે કોઈ જોગવાઈ આપે છે?

વાત જ્યારે ટ્રાન્સપોર્ટેશનની થઈ રહી હોય તો ટ્રેન સૌથી પહેલાં નંબર પર આવે છે અને એમાં પણ ભારતીય રેલવે તો દુનિયાનું સૌથી વ્યસ્ત અને વિશાળ રહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે ટ્રેનમાં જન્મેલા બાળકોને ભારતીય રેલવેની ટ્રેનમાં થાય તેમને લાઈફ ટાઈમ ટ્રેનમાં ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા મળે છે. ચાલો તમને આ મેસેજ પાછળની સચ્ચાઈ જણાવીએ…
દરરોજ ભારતીય રેલવે દ્વારા હજારોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે અને આ ટ્રેનોમાં દરરોજ કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. અત્યાર સુધી આપણે અનેક વખત એવા સમાચાર કે ઘટનાઓ વિશે સાંભળ્યું હશે કે જેમાં ટ્રેનમાં કે ફ્લાઈટમાં ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હોય. આવા કિસ્સામાં અનેક વખત બાળકોને ખાસ સુવિધાઓ આપવામાં આવે છે.
થોડાક મહિનાઓ પહેલાં ફ્રાન્સમાં એક મહિલાએ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો અને ફ્રાન્સની સરકાર દ્વારા આ બાળકને 25 વર્ષની ઉંમર સુધી ફ્રીમાં પ્રવાસ કરવાની જોગવાઈ કરી આપી હતી. ભારતમાં પણ ટ્રેનમાં જન્મેલાં બાળકોને રેલવે દ્વારા લાઈફટાઈમ ફ્રી પ્રવાસ કરવાની જોગવાઈ આપવામાં આવે છે એવો દાવો કરતાં મેસેજ ફરી રહ્યા છે.
વાત કરીએ ભારતમાં જન્મેલાં બાળકોને લાઈફટાઈમ ફ્રીમાં પ્રવાસ કરવાની સુવિધા આપવામાં આવે છે કે નહીં એની તો ભારત સરકાર દ્વારા આવી કોઈ સુવિધા નથી આપવામાં આવતી. જોકે, ભારતીય રેલવે દ્વારા ડિલીવરી દરમિયાન આપવામાં આવેલી તમામ સુવિધાઓ નિઃશુલ્ક હોય છે. ટૂંકમાં, જણાવવાનું થાય તો ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં જન્મેલા નવજાત શિશુને આવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. એટલે જો કોઈ આવું કહે કે આવી માહિતી આપતો મેસેજ આવે તો તેના પર બિલકુલ વિશ્વાસ કરશો નહીં.
