મુંબઈ રેલવેનું ‘ટ્રેજિક’ સિક્રેટઃ 15 વર્ષમાં 47,000 મોત, પણ દર ત્રીજાની ઓળખ અજાણી
મુંબઈમાં જાહેર પરિવહન માટે રેલવે નેટવર્ક માટે લાઈફલાઈનની ઉપમા આપી છે, જે સસ્તા અને ઝડપી પરિવહન માટે યથાર્થ ઉપમા છે, પરંતુ સુરક્ષા માટે તો નહીં જ. દર ત્રીજી ચોથી મિનિટે લોકલ ટ્રેનની કનેક્ટિવિટી છે, પરંતુ આ કનેક્ટિવિટી આજની તારીખે રોજના સાતેક પ્રવાસીનો ભોગ લે છે. મુંબઈમાં લોકલ ટ્રેન સિવાય મેટ્રો, મોનો, બેસ્ટ, એસટી બસની સુવિધા, ઓટો-ટેક્સી સહિત ખાનગી પરિવહનનો પણ રાફડો ફાટેલો છે, પરંતુ રેલ અકસ્માતના ચોંકાવનારું અને ટ્રેજિક સત્ય એ છે કે રોજના પંદરેક અકસ્માતો થાય છે, જેમાં સાતેક લોકો મોતને ભેટે છે, પરંતુ તેમાંથી ઓળખ થઈ શક્તિ નથી કેટલી મોટી કરુણતા છે. શું છે રિયલ સ્ટોરી તો વાત કરીએ.
14,513 લોકોની ઓળખ પણ થઈ નથી
મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન અકસ્માતના ભયાનક આંકડા મળી રહ્યા છે. દર વર્ષે હજારો લોકો ટ્રેનમાં કપાઈને જીવ ગુમાવે છે, જેમાં એક આરટીઆઈના ખુલાસામાં જાણવા મળ્યું છે કે મુંબઈમાં છેલ્લા પંદર વર્ષમાં 46,979 લોકોએ ટ્રેનના વિવિધ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 14,513 લોકો તો એવા છે, જેની ઓળખ પણ થઈ શકી નથી.
2002થી 2024 વચ્ચે 72,000 લોકોએ જીવ ગુમાવ્યાં
મીડિયાના અહેવાલ અનુસાર ઓર્થોપેડિક ડો. સરોશ મહેતાએ મુંબઈ રેલવે પાસેથી વીતેલા વર્ષોમાં લોકલ ટ્રેન અકસ્માતમાં માર્યા જનારા અંગે વિગતો માગી હતી. રેલવે પાસેથી મળેલી ઈન્ફર્મેશન અનુસાર 2002થી 2024 વચ્ચે કૂલ 72,000 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મધ્ય રેલવે, હાર્બર લાઈન અને પશ્ચિમ રેલવેની હદમાં અકસ્માતનો સમાવેશ થાય છે. મોટા ભાગના અકસ્માતમાં લોકો રેલવેના પાટા ઓળંગતી વખતે અથવા ટ્રેનમાંથી પડવાનો ભોગ બન્યા હતા.
અજાણ્યાની અંતિમવિધિ મહિના કરાય છે
અકસ્માતમાં ઘવાયેલા પ્રવાસીઓની સારવાર અંગે પોલીસનું કહેવું છે કે અમુક અકસ્માતમાં અસરગ્રસ્તની ઓળખ કરવાનું મુશ્કેલ બને છે. મોબાઈલ ફોન, આઈડી કાર્ડ અથવા એવા કોઈ પુરાવા પણ મળતા નથી, જેથી સંબંધિત પ્રવાસી-વ્યક્તિના પરિવાર સુધી પહોંચવાનું મુશ્કેલ બને છે. જો કોઈ મૃતકની ઓળખ થાય તો નહીં તો તેને પંદર દિવસથી લઈ એક મહિના સુધી રાખવામાં આવે છે, જ્યારે આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ ફોટોગ્રાફ મોકલવામાં આવે છે, જેથી કોઈ ગુમ થયાનો રિપોર્ટ મળ્યો હતો તેના મારફત પણ ઓળખ થઈ શકે. આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે કોઈ પરિવાર નહીં આવે તો ધાર્મિક માન્યતા અનુસાર મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવે છે. જોકે, રેકોર્ડ અનુસારની વસ્તુઓ પણ સંભાળીને રાખવામાં આવે છે, જેનો આશય એ હોય છે કે ભવિષ્યમાં જો કોઈ વાલી-વારસ આવે તો પરિવારને જે તે વસ્તુઓ સોંપવામાં આવે.
રેલવે ઝીરો મિશનથી જોજનો દૂરો
જોકે, શબઘરમાં અજાણ્યા મૃતદેહોને રાખવાની વધુ જગ્યા હોતી નથી, તેથી વધુ દિવસો સુધી રાખવામાં આવતા નથી, તેથી અંતિમસંસ્કાર કરવામાં આવે છે. કોરોના મહામારી વખતે રેલવે અકસ્માત ઝીરો થઈ ગયા હતા, પરંતુ એ અપવાદ પછી આજની તારીખ સુધી ન તો અકસ્માત ઘટ્યા છે ન તો અકસ્માતમાં માર્યા જનારાની સંખ્યા, એમ આરટીઆઈ એક્ટિવિસ્ટે નિરાશા વ્યક્ત કરી હતી.
ડો. મહેતાના દાવા અનુસાર હજુ પણ રેલવે ઝીરો ડેથ મિશનથી જોજનો દૂર છે, જ્યારે અકસ્માત નિયંત્રણ માટે બાઉન્ડરી વોલ અને ક્લોઝ ડોર લોકલ ઉપાય બની શકે છે. રેલવેએ એસ્કેલેટર, લિફ્ટ બેસાડવાનું શરુ કર્યું છે, પરંતુ હજુ લોકો રેલવે ટ્રેક ક્રોસ કરે છે, તેથી ગમે તેટલા મિશન લોન્ચ કરવામાં આવે પણ પબ્લિક જાગૃત થાય એ જરુરી છે.