ઉત્તરાખંડમાં કરુણાંતિકાઃ અલ્મોડામાં બસ ખીણમાં પડતા પંદરનાં મોત
અલ્મોડાઃ ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખાઈમાં ખાબકવાને કારણે પંદર પર્યટકોના મોત થયા છે. 40-50 પ્રવાસીની બસ ખાઈમાં પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગઢવાલ-રામનગર રુટ પર આ અકસ્માત થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માતમાં પંદર લોકોના મોત થયા છે, જ્યારે મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ અકસ્માત પછી ઘટનાસ્થળે પોલીસ અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
નવા વર્ષના પહેલા દિવસે આજે સવારે ગૌરીખાલથી એક બસ રામનગર માટે રવાના થઈ હતી. આ બસમાં 40થી વધુ પ્રવાસી હતા. સલ્ટના કૂપી ખાતે બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવવાને કારણે બસ ખાઈમાં ખાબકી ત્યારે પ્રવાસીઓ ડરી ગયા હતા. બસમાં ખીણમાં પડી ત્યારે બસમાં સવાર પ્રવાસીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી.
પીડિતોને મદદ કરવા માટે સલ્ટ અને રાણીખેતથી ટીમને મોકલવામાં આવી હતી. બચાવ કામગીરી પૂરી થયા પછી સમગ્ર પરિસ્થિતિ અંગે વાસ્તવિકતા ખબર પડશે. આ બસ અકસ્માત રામનગરથી નજીકમાં છે, જ્યારે પૌડી-અલ્મોડા વિસ્તામાં પડે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.