Success Story: 92 વર્ષ પહેલા આજના દિવસે દેશમાં સૌથી પહેલા વિમાને ભરી હતી ઉડાન…
આજે પંદરમી ઓક્ટોબર. ઈતિહાસના પાના ફેરવીએ તો આજથી 92 વર્ષ પહેલા આજના દિવસે ટાટા ગ્રુપ અને એવિયેશન ઈન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક દિવસ છે. પંદરમી ઓક્ટોબર, 1932ના દિવસે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન જેઆરડી ટાટાએ પહેલી વખત કરાચીથી મુંબઈ માટે હિંદુસ્તાનના સૌથી પહેલા વિમાને ઉડાન ભરી હતી. આઝાદી પહેલાની વાત. એર ઈન્ડિયા એટલે ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી.
જેઆરડી ટાટા એવિયેશન ઈન્ડસ્ટ્રીના પિતામહ કહેવાયા
સ્વતંત્રતા પહેલાથી આઝાદી મેળવ્યા સુધી અને એના પછી આજે પણ આસમાનમાં ટાટા પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી અને હજુ શિખરો સર કરી રહ્યું છે. આજના દિવસની વાત કરીએ તો ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન જેઆરડી ટાટાએ પહેલી વખત કરાચીથી મુંબઈ માટે કમર્શિયલ ફ્લાઈટની ઉડાન ભરી હતી. જેઆરડી ટાટાને ભારતીય એવિયેશન ઈન્ડસ્ટ્રીના પિતામહ કહેવાતા. જેઆરડી ટાટાની બીજી સિદ્ધિ કહીએ તો ટાટા ગ્રુપના લાંબા સમય સુધીના અધ્યક્ષપદે રહ્યા હતા.
હાર્ડલોટ દરિયાઈ કિનારા પર વિમાનને જોયા પછી નક્કી કર્યું
29 જુલાઈ 1904માં પેરિસમાં જન્મેલા જેઆરડી રતનજી દાદાભાઈ ટાટા અને તેમના ફ્રાન્સીસી પત્ની સુનીના બીજા નંબરના સંતાન હતા. જેઆરડીના નાના ભાઈ જહાંગીરને પણ ફ્લાઈટ ઉડાડવાનો શોખ હતો. જેઆરડીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પહેલી વખત ફ્રાન્સના હાર્ડેલોટ દરિયાઈ કિનારા પર એક વિમાનને ઉતરતું જોવા મળ્યા બાદ તેમને વિમાનથી પ્રેમ થઈ ગયો હતો. ત્યારપછી નક્કી કર્યું હતું કે ગમે તે થશે હું એક દિવસ તો પાઈલટ બનીશ અને આગળ જઈને સપનું સાકાર કર્યું.
કરાચીથી વાયા અમદાવાદથી મુંબઈ પહોંચ્યું હતું પ્લેન
નુસરવાનજી ટાટાના દીકરા જમશેદજી ટાટાએ ટાટા ગ્રુપની સ્થાપની કરી હતી. ગુજરાતના નવસારીથી મુંબઈ આવીને જમશેદજી ટાટાએ ટ્રેડિંગ કંપનીનો પાયો નાખ્યો. 29 વર્ષની ઉંમરમાં 21,000 રુપિયાના રોકાણ સાથે ટાટા ગ્રુપનું નિર્માણ કર્યું, ત્યારબાદ ટાટા ગ્રુપે શિપિંગનું કામ કર્યું ત્યારબાદ 1869માં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવ્યું. જમશેદજીને ઉદ્યોગજગતના પણ પિતામહ કહેવાતા. 15 ઓક્ટોબર, 1932ના જેઆરડી ટાટાએ તત્કાલીન ટાટા એર સર્વિસીસની સિંગલ એન્જિનવાળી ડે હેવિલેન્ડને કરાચીથી અમદાવાદથી બોમ્બે સુધી મુસાફરી કરી હતી. ડી હેવિલેન્ડ ડીએચ 80એ પુસ મોથ થ્રી સીટર મોનોપ્લેન હતું, જેને 1929 અને 1933ની વચ્ચે ડી. હેવિલેન્ડ એરક્રાફ્ટ કંપની દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું.
ટાટા બ્રાન્ડના કસ્ટોડિયને એ દિવસને યાદ કરતા કહ્યું હતું કે એની સફળ ઉડાન ભર્યા પછી જેઆરડીએ ટાટાએ કહ્યું હતું કે કરાચીથી મુંબઈ માટે ઉડાન ભરી ત્યારે તેઓ ખુશ હતા. અમે કલાકના 100 માઈલની રફતારથી વિમાનને ઉડાવ્યું હતું અને સફળતા માટે બહુ પ્રાર્થના પણ કરી હતી. આ સફળતા પછી તો દેશ આઝાદ થયો અને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
50,000 કરોડનું દેવું થયા પછી વેચવાનો નિર્ણય
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યા પછી જેઆરડી ટાટા નહેરુની સરકારમાં એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સ બંનેમાં પ્રમુખ હતા. આમ છતાં વર્ષો સુધી સરકારના નિયંત્રણને કારણે 50,000 કરોડ રુપિયાનું દેવું થયું હતું. એરલાઈનને બંધ કરીને સરકારે એને વેચવાનો નિર્ણય લીધો હતો. ટાટા ગ્રુપ દ્વારા સૌથી વધુ બોલી લગાવીને જાન્યુઆરી, 2022માં એને ટાટા ગ્રુપને વેચવામાં આવ્યું હતું. ટાટા દ્વારા એર ઈન્ડિયાની બોલી જીત્યા પછી ટાટા ટ્રસ્ટના તત્કાલીન ચેરમેન રતન ટાટાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે વેલકમ બેક, એર ઈન્ડિયા. ટાટા ગ્રુપ એર ઈન્ડિયાના નવા કસ્ટમર્સનું સ્વાગત કરે છે. નવમી ઓક્ટોબરે જ રતન ટાટાનું 86 વર્ષની જૈફ વયે અવસાન થયું, પણ પરિવારની ક્રેડિટમાં વધારો કર્યો હતો.