July 1, 2025
ગુજરાત

ગુજરાતમાં ખેતીવાડીની જમીન વેચવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી સરકારે

Spread the love

ખેતીની જમીનમાં છ એપ્રિલથી 1995થી જ મહેસૂલી રેકોર્ડમાં માન્ય રાખવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેતીવાડી ક્ષેત્રની જમીનની વેચાણની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના ભાગરુપે સરકારે મહત્ત્વના નિર્ણય લીધા છે. આ અંગે સરકારે શુક્રવારે મહત્ત્વની જાહેરાતો કરી હતી. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં ખાસ કરીને ડિજિટાઈઝેશન અને પારદર્શક ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવાનો સરકારે સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પહેલા દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ‘ઈઝ ઓફ ડુઈંગ’ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.
અનેક મુશ્કેલીઓનું નિરાકરણ લઈ આવી સરકાર
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે બિન ખેતીની પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકોર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજૂરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે.

વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં

ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં. જોકે આવી ખેતીની જમીનની હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ નિયત નમુનામાં રજૂ કરવાનું રહેશે. એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય, પરંતુ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે.
ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ 1995 પછીનો રેકોર્ડ માન્ય
આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનઉપલબ્ધતાના કારણે વેચાણ-નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. નવા નિયમો અનુસાર ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.


અમુક સોદા કચેરીઓમાં નામંજૂર કરવાનું પ્રમાણ વધ્યું
સરકારે 1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે, ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!