બુદ્ધના એ વિચારોનો અમલ કરો, તમારી જિંદગી જો જો…
23મી મેના આજે બુદ્ધ પૂર્ણિમા. દેશભરમાં આજે બુદ્ધપૂર્ણિમાનું સેલિબ્રેશન કરવામાં આવશે. બુદ્ધ પૂર્ણિમાનું બૌદ્ધ ધર્મના લોકોની સાથે અન્ય સમુદાયના લોકોમાં પણ વિશેષ મહત્ત્વ છે. બુદ્ધ પૂર્ણિમાની દેશ આખામાં તેમના અનુયાયીઓ ઉજવણી કરે છે, જ્યારે દેશભરના બૌદ્ધમઠોમાં તો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પણ મહત્ત્વની વાત એ છે કે આજે બુદ્ધ ભગવાનના વિચારો આજે પણ યુવાનોને માર્ગદર્શન આપે છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તેમના વિચારો સાચે લોકોને માર્ગદર્શક રુપ બને છે.
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા માગતો હોય છે અને એના માટે દરેક પ્રકારના પ્રયાસ કરે છે, પરંતુ અમુક વખત માર્ગદર્શનના અભાવને કારણે નિષ્ફળતા મળે છે. નિષ્ફળતા મળે પણ એનાથી નિરાશ થવાનું નહીં, હારવાનું નહીં, થાકવાનું નહીં. નિષ્ફળતાના સંજોગોમાં ગૌતમ બુદ્ધના વિચારો તમને મદદરુપ બનશે. મન જ સર્વસ્વ છે તમે જે વિચારો એ જ બનો છો.
આ સૌથી મોટો વિચાર છે. વ્યક્તિના જીવનમાં આગળ વધવા માટે પહેલા મન મક્કમ હોવું જરુરી છે. ગુજરાતીમાં કહેવાયું છે કે જો મન હોય તો માળવે જવાય. વાસ્તવમાં કંઈ નક્કર કરવા કે હટકે કરવા માટે તમારે સૌથી પહેલા તમારા મનને મજબૂત બનાવવું પડશે.
ચાહે યુપીએસસીની પરીક્ષા હોય કે પછી તમારે કોઈ બિઝનેસ કરવો હોય પણ પહેલા તમારા મનને મજબૂત બનાવીને નક્કી કરેલા લક્ષ્યાંક સુધી કઈ રીતે પહોંચવું એ પણ નક્કી કરી લો.બુદ્ધે બીજી મહત્ત્વની વાત કરી છે કે ભવિષ્ય સોનેરી બનાવવા માટે શક્ય એટલું ભૂતકાળમાં જીવવાનું ટાળો. એટલું જ નહીં, વર્તમાનમાં જીવવાનું રાખો.
કહેવાય છે કે ગૌતમ બુદ્ધના વિચારો હંમેશાં અહિંસા અને કરુણાના ઉપદેશો આપ્યા છે, પણ સફળતા અંગે જે ગૂઢાર્થ વિચારો આપ્યા છે એ પણ અણમોલ છે. શાંતિ અંદરથી આવે છે તેને બહાર શોધશો નહીં.તમારી તંદુરસ્તી સૌથી મોટી સંપત્તિ છે, જ્યારે જીવન જીવવા માટે સંતોષ સૌથી મોટી સંપત્તિ, તેથી થોડામાં પણ સંતોષ રાખવો જોઈએ.ત્રણ વસ્તુ ક્યારેય છુપાયેલી રહેતી નથી સૂર્ય, ચંદ્રમા અને સત્ય.