ઈમરજન્સીના 50 વર્ષઃ લોકશાહીના કાળાં અધ્યાયને ભૂલી ના શકાય
ઈમરજન્સીના પચાસ વર્ષઃ 25 જૂન 1975ના મધરાત દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી. એ દિવસ લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે. 25 જૂનના તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને બંધારણની કલમ 352 અન્વયે ઈન્દિરા ગાંધી સરકારે ઈમરજન્સી જાહેર કરવાની ભલામણ કરી હતી અને દેશમાં ઈમરજન્સીની જાહેરાત ખુદ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ રેડિયો પર કરી હતી.
ઈમરજન્સી શા માટે જાહેર કરી હતી?
જો તમારા મગજમાં એ સવાલ આવે કે દેશમાં ઈમરજન્સી શા માટે જાહેર કરી હતી તો એના પાછળ એક નહીં અનેક કારણ જવાબદાર હોવાનું કહેવાય છે. મુખ્ય કારણ તો રાજકીય અસ્થિરતા હતી. જ્યારે ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં છેતરપિંડીનો દોષી ઠેરવ્યા અને છ વર્ષ સુધી તેમને કોઈ પણ ચૂંટાયેલા પદ પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો. કોર્ટના આ આદેશ પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન અને રાજકીય તણાવ ઊભો થયો હતો. ઈન્દિરા ગાંધીની સરકારે દાવો કર્યો કે દેશમાં અશાંતિ અને આંતરિક અસ્થિરતા ઊભી થઈ છે, જેને કારણે દેશ માટે જોખમ છે. આ જ કારણે સરકારે ઈમરજન્સી જાહેર કરી હતી, જે કોઈ પણ કાયદાકીય અને ન્યાયિક હસ્તક્ષેપ વિના સરકાર ચલાવી શકે.
ઈમરજન્સી વખતે સરકારે શું પ્રતિબંધો મૂક્યા?
ઈમરજન્સી વખતે સરકારે તમામ વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરી હતી. પ્રેસ પર સેન્સરશિપ મૂકવામાં આવી હતી અને નાગરિકોની સ્વતંત્રતા પર કાતર ચલાવી દેવામાં આવી હતી. એના સિવાય 24 સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધીની સરકારે દેશમાં વ્યાપક રીતે સામાજિક અને આર્થિક સુધારા કરવાની શરુઆત કરી હતી, જેમાં જબરદસ્તીથી નસબંધી અને સ્લમ ક્લિયરન્સનો સમાવેશ કર્યો હતો. ઈતિહાસકારોનું માનવું છે કે ઈમરજન્સીનો ઉપયોગ કરીને ઈન્દિરા ગાંધીએ પોતાની સત્તાનો ઉપયોગ વિરોધીઓને કચડી નાખવા કર્યો હતો.
જનતાએ સરકારને આપ્યો વળતો જોરદાર જવાબ
દેશમાં ઈમરજન્સી સામે વિપક્ષના નેતાઓ એક થયા હતા, જેમાં અનેક નેતાઓ જેલમાં હતા. અમુક નેતાઓએ અન્ડરગ્રાઉન્ડ થઈને સરકાર સામે બંડ પોકાર્યું હતું. વિપક્ષના અનેક નેતાઓએ એક થઈને રાષ્ટ્રપતિ ભવનની સામે વિરોધ પ્રદર્શનો કર્યાં હતા. દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન પછી સરકારે ચૂંટણીની જાહેરાત કરી હતી, જેથી લોકોનું સમર્થન મળે. પણ સરકારને એમાં નિષ્ફળતા મળી. વિપક્ષના નેતાઓએ એક થઈને 1977માં જનતા પાર્ટીનું નિર્માણ કર્યું, જેમાં વન ઈઝ ટુ વનની ફોર્મ્યુલા સાથે કોંગ્રેસને હરાવી. ઈન્દિરા ગાંધી હાંસિયામાં ધકેલાયા અને રાયબરેલીની સીટ પરથી પોતે હારી ગયા. મોરારજી દેસાઈ દેશના પીએમ બન્યા, જેમાં આઝાદીના 30 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસ વિનાની પાર્ટી સત્તામાં આવી એ દિવસને ક્યારેય ભૂલી શકે નહીં.