મુંબઈમાં આજથી પાંચ ટકા પાણી કાપ, 2 કૂવામાંથી 11 વર્ષમાં રૂ. 70 કરોડથી વધુના પાણીની ચોરી…
મુંબઈઃ કેરળમાં આજે મોન્સૂન દાખલ થયું ખરું પણ મુંબઈગરાને ઉકળાટમાંથી રાહત મેળવવા માટે હજી થોડી રાહ જોવી પડે એમ છે. હવામાન ખાતા દ્વારા 10મી 11મી જૂનના મોન્સૂન મુંબઈમાં દાખલ થશે, એવી આગાહી કરવામાં આવી છે. પરંતુ એ પહેલાં મુંબઈગરાઓ સામે એક મોટું સંકટ આવીને ઊભું છે. આજથી જ શહેરમાં પાંચ ટકા ટકા પાણીકાપ લાગૂ કરવામાં આવ્યો છે.
મુંબઈને પાણીપુરવઠો કરનારા ડેમમાં હાલમાં પાણીપુરવઠો ઓછો હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં વૈતરણામાં ઉપયોગ કરવા માટેના પાણીપુરવઠાનું પાણીનું સ્તર શૂન્ય ટકા પર પહોંચી ગયું છે જ્યારે બાકીના છ ડેમમાં પણ પાણી પુરવઠાનું સ્તર આઠ ટકા પર પહોંચી ગયું છે. પરિણામે હવે જ્યાં સુધી ચોમાસનું શરૂ ના થાય અને જળાશયોમાં પૂરતો પાણીપુરવઠો નહીં થાય ત્યાં સુધી આ પાણીકાપ લાગુ કરવામાં આવશે, એવું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. પાલિકાએ નાગરિકોને આ સમયગળાના દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
પાલિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર આજથી એટલે કે 30મી મેથી પાંચ ટકા અને પાંચમી જૂન પછી 10 ટકા પાણી કાપ લાગુ કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો પાણીકાપના આ પ્રમાણમાં વધારો થવાનું હોઈ નાગરિકોનો પાણીનો ખૂબ જ સાચવીને ઉપયોગ કરવાનું જોઈએ. છેલ્લાં બે વર્ષમાં ઓછા વરસાદને કારણે મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછો હોવાથી પાલિકા સામે પણ ગંભીર સવાલ ઉપસ્થિત થયો છે. એક તરફ મુંબઈગરા જળસંકટનો સામનો કરી રહ્યા છે ત્યાં બીજી બાજું મુંબઈના કૂવામાંથી લાખો લિટર પાણીની ધોળાદિવસે ચોરી થતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.
આશ્ચર્યની બાબત તો એ છે કે પ્રશાસનના નાકની નીચે આ પાણી વેચવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. મુંબઈમાં આવેલા અનેક જૂના કૂવામાં રહેલાં પાણીનો પીવા માટે ઉપયોગ કરવાની પરવાનગી હોવા છતાં પણ આ પાણીનો ઉપયોગ વ્યાવસાયિક વેચાણ માટે કરવામાં આવતો હોવાની માહિતી મળી રહી છે. આ રીતે શહેરના બે કૂવામાંથી 11 વર્ષમાં 73 કરોડ રૂપિયાના પાણીનું વેચાણ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. મુંબઈ પાલિકા હદમાં આવા 21 હજાર કુવા આવેલા છે એટલે આ કાળો ધંધો કેટલાક કરોડ રૂપિયાનો છે એ કહેવું જરા અઘરું જ છે.