પંદરસો રુપિયાના વિવાદમાં પરિવારના 3 લોકોએ ભર્યું અંતિમ પગલું
દીકરાએ ફાંસી લગાવ્યા પછી પરિવાર મા-દીકરીએ ખાઈ લીધું ઝેર
વધતી મોંઘવારી અને ગરીબી ગરીબ પરિવારો માટે ધીમે ધીમે અભિશાપ બની રહી છે. એક ટંકનું ખાવાપીવા માટે લોકો કલાકો સુધી મહેનત-મજૂરી કરી લેતા હોય છે ત્યારે ક્યારેક પાંચ-દસ રુપિયાના વિવાદમાં કાળા માથાના માનવી હત્યા કરવાના કિસ્સામાં પણ વધારો થવાથી સમાજ-રચના અને સિસ્ટમ પર સવાલ થાય છે ત્યારે તાજેતરમાં ઉત્તર પ્રદેશના એક ગામમાં પરિવારે પંદરસો રુપિયાની રકમ માટે અંતિમ પગલું ભરી લીધું હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યા છે.
યુપીના ગોરખપુરના કુચડેહરી ગામમાં પંદરસો રુપિયાના વિવાદમાં અઢાર વર્ષના યુવકે ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો હતો, જ્યારે દીકરાના સમાચાર જાણીને પરિવારમાં માતા અને દીકરીએ ઝેર ખાઈ લીધું હતું. આ સમાચાર ગામમાં ફેલાયા પછી આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે ગોરખુરના હરપુર બુદહટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. એક જ પરિવારના ત્રણ લોકોએ અંતિમ પગલું ભર્યાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો, જ્યારે તેનું કારણ ફક્ત પંદરસો રુપિયા સંબંધિત હતો. મૃતકની ઓળખ મોહિત કન્નોજિયા તરીકે કરવામાં આવી છે, જે મુંબઈમાં ઈસ્ત્રીની દુકાનમાં કામ કરતો હતો. મંગળવારે પોતાની માતા કૌશલ્યા દેવી અને બહેન સુપ્રીયાની સાથે દવા ખરીદવા માટે બજાર જઈ રહ્યા હતા. રસ્તામાં મોબાઈલ ઠીક કરવા માટે માતા પાસેથી 1,500 રુપિયા માગ્યા હતા. પૈસા નહીં મળતા ગુસ્સામાં ઘરે પાછો આવીને અંતિમ પગલું ભર્યું હતું.
આ બનાવ પછી માતા અને બહેન ઘરે પરત ફરીને જોયું તો દરવાજો બંધ હતો. પડોશીઓની મદદથી દરવાજો તોડીને જોયું તો દીકરાએ ફાંસી ખાઈ લીધી હતી. માતા-બહેન એના અંતિમ પગલાને સહન કરી શક્યા નહીં અને તેમને પણ ઝેર ખાઈ લીધું હતું. આ બનાવ પછી પોલીસે બંનેના મૃતદેહોને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. પોલીસે વધુમાં કહ્યું હતું કે આ ગંભીર પારિવારિક બાબત છે. આ અગાઉ મોહિતના પિતાનું મોત થયું હતું, જ્યારે તેની બે બહેન સ્નેહલતા અને શશીલતાએ લગ્ન કરેલા છે.
(જો તમારા અથવા કોઈ પરિચિતના મનમાં આત્મહત્યા યા આપઘાતનો વિચાર આવે તો એ ગંભીર મેડિકલ ઈમર્જન્સી છે. તરત ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર સંપર્ક કરો અથવા ટેલિમાનસ હેલ્પલાઈન નંબર 1800914416 પર કોલ કરીને જાણ કરી શકો છો.)