June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝ

સાવધાન કચ્છઃ ‘ભેદી’ બીમારીને કારણે 10 દિવસમાં 16 લોકોનાં મોત, સરકાર જાગી?

Spread the love

ભુજઃ રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં અચાનક ભેદી બીમારીને કારણે લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે, જેના અંગે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. સરકારની નિષ્ક્રિયતા અંગે વિપક્ષે ઝાટકણી કાઢ્યા પછી સરકાર સક્રિય બની છે. કચ્છમાં ખાસ કરીને છેલ્લા 10 દિવસમાં 16 લોકોના મોત શંકાસ્પદ બીમારીથી મોત થયા છે. તાવને કારણે આ લોકોના મોત થયા છે, જ્યારે તાવના સેમ્પલ પણ ટેસ્ટ માટે પુણે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી ચિત્ર વધુ સ્પષ્ટ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
જિલ્લાની હોસ્પિટલમાં સુવિધા ઊભી કરાઈ
કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર ગંભીર બની છે. આ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન જિલ્લાની હોસ્પિટલમાં વધારાના બેડની સગવડ ઊભી કરવામાં આવી છે.
સરકારના મંત્રી, અધિકારીઓએ તાગ મેળવ્યો
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગામના સરપંચ રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણી ઝકરીયા હાજી નુર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
બીમારીનું કારણ શોધવા માટે સરકાર સક્રિય
આરોગ્ય મંત્રીએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. ઋષિકેશભાઈ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે. બીમારીનું મૂળ કારણ શોધીને અને હવે કોઈ પણ નાગરિકે જીવ ગુમાવવાના પડે એ રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું.
શરદી, તાવ આવે તો ડોક્ટરનો સંપર્ક કરો
દરમિયાન સરકારે જણાવ્યું હતું કે આરોગ્ય ટીમને સહકાર આપી શરદી, ઉધરસ, તાવ કે નબળાઈ જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરીને પૂરતી સારવાર લેવા અનુરોધ કર્યો હતો. દરેક નાગરિકોએ યોગ્ય સમયે સારવાર લેવાથી જીવ બચી શકે છે એ બાબતે સૌને તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો. સામાન્ય બીમારીમાં પણ કોઈપણ બેદરકારી દાખવ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
કોંગ્રેસે સરકારની આંખ ઉઘાડી
કચ્છમાં ભેદી બીમારી અંગે સરકારની ઝાટકણી કાઢતા કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે કચ્છમાં ફેલાયેલા રોગચાળો ફેલાય રહ્યો છે ત્યારે ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાઈ છે. ભાજપના નેતાઓ વધુને વધુ લોકોને સભ્ય બનાવવામાં વ્યસ્ત છે ત્યારે સરકારને લોકોના મોતની કોઈ ચિંતા નથી. અન્ય રાજ્યોની ચૂંટણીની જવાબદારી મંત્રીઓ માટે પ્રાથમિકતા બની છે. બીજી બાજુ કચ્છમાં લોકો મરી રહ્યા છે, પણ સરકારને તેની ચિંતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!